મોરબી પર કાળની ત્રીજી મોટી થપાટ, અગાઉ બે વાર સહન કરી ચૂક્યું છે મોટી હોનારત
ઝૂલતા પુલ તૂટવાની ઘટનાને લઇને દેશભરમાં આજે ફરીએકવાર મોરબીનું નામ ચર્ચામાં આવ્યું છે. જો કે મોરબી અગાઉ વર્ષ 1989માં મચ્છૂ ડેમ તૂટવાની મોટી હોનારત અને 2001માં ભૂંકપમાં ભારે તબાહી વેઠવાને લઇને પણ ચર્ચામાં રહ્યું હતું. 30 ઓક્ટોબર 2022- ઝૂલતા પુલ દુર્ઘટના ઝૂલતા પુલ દુર્ઘટનામાં આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં મોતનો આંકડો 97 પર પહોંચ્યો છે...30 ઓક્ટોબરનો આ દિવસ મોરબીના ઇતિહાસમાં વધુ એક કાળા દિવસ
08:18 PM Oct 30, 2022 IST
|
Vipul Pandya
ઝૂલતા પુલ તૂટવાની ઘટનાને લઇને દેશભરમાં આજે ફરીએકવાર મોરબીનું નામ ચર્ચામાં આવ્યું છે. જો કે મોરબી અગાઉ વર્ષ 1989માં મચ્છૂ ડેમ તૂટવાની મોટી હોનારત અને 2001માં ભૂંકપમાં ભારે તબાહી વેઠવાને લઇને પણ ચર્ચામાં રહ્યું હતું.
30 ઓક્ટોબર 2022- ઝૂલતા પુલ દુર્ઘટના
ઝૂલતા પુલ દુર્ઘટનામાં આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં મોતનો આંકડો 97 પર પહોંચ્યો છે...30 ઓક્ટોબરનો આ દિવસ મોરબીના ઇતિહાસમાં વધુ એક કાળા દિવસ તરીકે અંકિત થઇ ગયો. અનેક જિંદગીઓ મોતની ગર્તામાં ધકેલાઇ ગઇ છે... અને પરિવારો વેર-વિખેર થઇ ગયા છે... હોસ્પિટલોમાં મૃતકોના પરિવારોના આક્રંદ સિવાય બીજુ કંઇજ સંભળાતું નથી..આ ઘટનામાં બ્રિજથી લાગતી વળગતી એજન્સી સામે કલમ 304 હેઠળ ગુનો દાખલ કરાયો છે. જો કે મોરબી એક એવું સ્થળ છે.. જેણે એકવાર નહીં પરંતુ ત્રણ-ત્રણ વાર મોટી દુર્ઘટનાઓની થપાટ ઝીલી છે..આ અગાઉ પણ મોરબી શહેર બે મોટી હોનારતોની થપાટ સહન કરી ચૂક્યું છે.
11 ઓગસ્ટ 1989- મચ્છુ ડેમ તૂટતા મોરબી પર આભ તૂટી પડ્યું હતું
11મી ઓગસ્ટ 1989 ના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારેય પણ ભૂલી શકે તેમ નથી કેમ કે આ દિવસે આજથી 43 વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું. ત્યારે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા અને 11મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમ છલોછલ ભરેલો હતો.તેવા સમયે એક ડેમનો માટીનો પાળો તૂટવાથી જળપ્રલયની ભયાનક ઘટના સર્જાઈ હતી.જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જાય છે.
મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી અને મચ્છુ ડેમમાંથી નીકળેલા પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા હોવાથી હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા..એટલું જ નહિ ગાય ભેંસ સહિતના દુધાળા પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી. તે દિવસનો નજારો આજે પણ લોકો સમક્ષ આવી જાય તો લોકોનું લોહી થીજી જાય છે. આજે ઘણા કર્મચારી નિવૃત થઇ ગયા છે તો પણ મચ્છૂ હોનારતને ભૂલી શક્યા નથી.
26 જાન્યુઆરી 2001-ગોઝારા ભૂકંપમાં મોરબી પર વ્રજાઘાત
26 જાન્યુઆરી 2001ના રોજ સવારે 8-45 વાગ્યે ગોઝારો ભૂકંપ આવ્યો હતો. 40 સેકન્ડ સુધી ભૂકંપે ધરાને હચમચાવી નાખતા સમગ્ર મોરબી શહેર ધણધણી ઉઠ્યું હતું. આ ભૂકંપમાં સૌથી વધુ અસર સામાકાંઠે હાઉસિંગ બોર્ડની વસાહતોને અને સોની બજારમાં થઈ હતી.જેમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળની ઇમારત જમીન દોસ્ત થઈ ગઈ હતી. તેમજ સોની બજારમાં અનેક દુકાનો, મકાનો પલકવારમા જ કાટમાળ બની ગયા હતા, ત્યાં ચાલી શકાય પણ ન શકાય તેવી કપરી સ્થિતિ સર્જાઇ હતી.આવી જ રીતે ગેસ્ટ હાઉસ રોડ પરના બજારને પણ નુકસાન થયું હતું.આ ઉપરાંત મણીમંદિર,નહેરુગેટ,ગ્રીનચોક જેવી ઐતિહાસિક ઇમારતો જર્જરિત થઈ ગઈ હતી..પાડાપુલની રાહદારી પાળી પણ ધ્વસ્ત થઈ ગઈ હતી.
ભૂકંપની આ નુકશાની અને જાનહાનીની સતાવાર વિગતો જોઈએ તો શહેરી વિસ્તારના 130 સહિત કુલ 236 લોકો મૃત્યુ પામ્યા હતા અને અસંખ્ય લોકો ઘાયલ થયા હતા.50 હજારથી વધુ મકાનોને નુકશાન થયું હતું.82 ગામોને અસર પહોંચી હતી .જેમાંથી 70 ટકા ગામોને મોટું નુકસાન પહોંચ્યું હતું. એકંદરે સમગ્ર મોરબી તાલુકો ભૂકંપથી ભારે પ્રભાવીત થયો હતો.
Next Article