15 ઓગસ્ટ સુધીમાં ટ્રેક પર દોડશે ત્રીજી વંદેભારત ટ્રેન, જાણો શું છે પ્લાનિંગ
ભારતીય રેલ્વે એ ત્રીજી વંદે ભારત ટ્રેનને ટ્રેક પર દોડાવવાની તારીખ નક્કી કરી છે. રેલવેએ માહિતી આપી છે કે આ ટ્રેનનું નિર્માણ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઈમાં કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ટ્રેનને પાટા પર ઉતારવાનું આયોજન જોરશોરથી શરૂ થઈ ગયું છે. હવે ટ્રેન લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, આખી ટીમ સમયસર ટ્રેનને તૈયાર કરવામાં વ્યસ્ત છે, જેને 15 ઓગસ્ટ પહેલા ફ્લેગ ઓફ કરવામાં આવશે.
ટ્રેન 12મી ઓગસ્ટે બહાર આવશે
12મી ઓગસ્ટ પહેલા ટ્રેન સેટને સંપૂર્ણ રીતે તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેથી તેને 12મી ઓગસ્ટે ICF તરફથી ફ્લેગ ઓફ કરી શકાય. ટ્રેનમાં થોડું કામ બાકી છે, જે સમયસર પૂરું થશે. આ પછી ટ્રેનને પાટા પર ઉતારવામાં આવશે. ICFમાંથી બહાર આવ્યા બાદ આ ટ્રેનની ટ્રાયલ થશે. ત્યારબાદ તેને CRS ક્લિયરન્સ લીધા બાદ ચલાવવામાં આવશે.
75 ટ્રેનોનું સ્વપ્ન
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે 15 ઓગસ્ટે 75 વંદે ભારત ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત આ 75 ટ્રેનોમાંથી પ્રથમ ટ્રેન 15 ઓગસ્ટ પહેલા ટ્રેક પર શરૂ કરવામાં આવી રહી છે. આ પછી, આગામી 1 વર્ષ સુધી 74 વધુ ટ્રેનો ટ્રેક પર આવશે.
દર મહિને 6 થી 7 ટ્રેનોનો ટાર્ગેટ
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રીજી ટ્રેનના નિર્માણ બાદ બાકીની 74 વંદે ભારત ટ્રેનનું ઉત્પાદન ટૂંક સમયમાં કરવામાં આવશે. પ્રથમ 2-3 મહિનામાં, દર મહિને 2 થી 3 વંદે ભારતનું નિર્માણ કરવામાં આવશે. આ પછી ઉત્પાદન 6 થી વધીને 7 થશે. આ રીતે આવતા વર્ષ સુધીમાં 75 કે તેથી વધુ ટ્રેનો તૈયાર કરવામાં આવશે.