સચિન બનવા માંગે છે રાજસ્થાનના 'પાઈલટ', સોનિયા ગાંધીને કરી દીધી ચોખવટ ?
રાજસ્થાન
કોંગ્રેસના નેતા સચિન પાયલટે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરતા ફરી રાજકીય ગરમાવો આવ્યો છે. કેટલાક
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સચિન પાયલટે રાજસ્થાનના સીએમ
બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પાયલોટ અને સોનિયાની આ
બેઠકમાં ભવિષ્યમાં રાજ્યમાં પાર્ટીની અંદર સચિન પાયલટની શું ભૂમિકા હશે તેના પર પણ
ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને ત્યારે કોંગ્રેસ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની
ચૂંટણીની તૈયારી કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે
સચિન પાયલટ છેલ્લે રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ અને પાર્ટીમાં ડેપ્યુટી સીએમ પદ
સંભાળી ચુક્યા છે. જો કે વર્ષ 2020 માં તેણે આ બંને પદ ગુમાવ્યા હતા. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે
પાયલોટની આ મહત્વપૂર્ણ બેઠક બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન
કોંગ્રેસમાં પાયલટની ભૂમિકા શું હશે એટલે કે તેમને શું જવાબદારી આપવામાં આવશે તેની
ચર્ચામાં કરવામાં આવી હતી. આ નિર્ણય પાર્ટી અધ્યક્ષ જલ્દી જ નક્કી કરશે. જો કે એવી
આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે સચિન પાયલટને રાજસ્થાનથી બોલાવીને
દિલ્હીમાં મોટી ભૂમિકા આપવામાં આવી શકે છે.
સચિન પાયલોટે
કહ્યું કે સંગઠન માટે ચૂંટણી થઈ રહી છે. તે અંગે ચર્ચા થઈ છે. સચિન પાયલોટે મીડિયા કર્મીઓને કહ્યું કે, રાજસ્થાનમાં આવનારા સમયમાં રાજકીય પરિસ્થિતિ અંગે મેં મારી
પ્રતિક્રિયા આપી છે. આ સિવાય સોનિયા ગાંધી સાથેની મીટિંગમાં થયેલી વાતોનો ઉલ્લેખ
કરતા પાયલોટે એમ પણ કહ્યું કે રાજસ્થાનમાં વર્ષ 2023માં ચૂંટણી થવાની છે અને ભવિષ્યની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી
છે જેથી કોંગ્રેસ આમાં વાપસી કરી શકે.
આ પહેલા બુધવારે
સીએમ ગેહલોતે સોનિયા ગાંધી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. એવું પણ
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2023ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડ સચિન પાયલટને
રાજ્યમાં મોટી જવાબદારી આપી શકે છે. કેટલાક રાજકીય વિશ્લેષકો એવું પણ અનુમાન લગાવી
રહ્યા છે કે પાયલટને ફરીથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.
વિધાનસભા ચૂંટણી 2018 પાયલોટના નેતૃત્વમાં લડવામાં આવી
હતી. પરંતુ સીએમની રેસમાં પાયલોટ પાછળ પડી ગયા અને અશોક ગેહલોત રાજ્યના
મુખ્યમંત્રી બન્યા.
ચાર રાજ્યોમાં
કોંગ્રેસની કારમી હાર બાદ હવે પાર્ટીની નજર રાજસ્થાનમાં યોજાનારી ચૂંટણી પર છે.
સચિન પાયલટ રાહુલ ગાંધીની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં
જ્યોતિરાદિત્ય સિંધિયા રાહુલના નજીકના મિત્રોમાંના એક હતા. જિતિન પ્રસાદ અને
આરપીએન સિંઘ જેવા દિગ્ગજ સૈનિકોએ રાહુલનો સાથ છોડી દીધો પરંતુ પાયલોટ હજુ પણ
રાહુલની સાથે છે.
એવું કહેવાય છે કે
વર્ષ 2018માં જ્યારે કોંગ્રેસ રાજસ્થાન
વિધાનસભા ચૂંટણી જીતીને સત્તામાં વાપસી કરી હતી ત્યારે સચિન પાયલટે સીએમ બનવાની
ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તે સમયે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું કે તેઓ
નાયબ મુખ્યમંત્રી પદથી સંતુષ્ટ રહે. બે વર્ષ બાદ સચિન પાયલટના સમર્થકોએ પાર્ટીમાં
બળવાનો માર્ગ પસંદ કર્યો અને પછી પાર્ટીમાં હંગામો મચી ગયો. જે લાંબો સમય ચાલ્યો.
ત્યારે હવે આ મુલાકાતને લઈને ફરી અનેક આશંકાઓ ઉભી થઈ છે.