રશિયા યુક્રેન યુદ્ધ વિકાસશીલ દેશોની અર્થવ્યવસ્થા વેરવિખેર કરી નાખશે, UNની ચેતવણી
રશિયા
અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 50 કરતા વધારે દિવસ થઈ ગયા છે. પરંતુ હજુ પણ યુદ્ધ
બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. આ યુદ્ધના પગલે અનેક દેશોના અર્થતંત્ર પર ભારે અસર
પડી રહી છે. આ યુદ્ધના પગલે વિશ્વભરમાં રશિયાની આકરી ટીકા કરવામાં આવી રહી છે. તેમ
છતા રશિયા છે કે એકનું બે થવાનું નામ નથી લઈ રહ્યું. આ યુદ્ધને લઈને યુએન દ્વારા મોટી
ચેતવણી આપવામાં આવી છે. હાલમાં જ યુએનની એક ટાસ્ક ફોર્સે તેના નવા અહેવાલમાં ચેતવણી આપી છે કે યુક્રેન
સામે રશિયાના યુદ્ધથી ઘણા વિકાસશીલ દેશોની અર્થવ્યવસ્થા પડી ભાંગશે. યુદ્ધના પગલે
અનેક દેશો વધુ મુશ્કેલ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કારણ કે તેઓ
ખાદ્યપદાર્થો અને ઇંધણના ઊંચા ભાવનો સામનો કરી રહ્યા છે.
યુએનના મહાસચિવ એન્ટોનિયો
ગુટેરેસે બુધવારે આ રિપોર્ટ જાહેર કર્યો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે
એકબાજુ આ કોરોના મહામારી અને વાતાવરણ પલટા પગલે વિશ્વના અનેક દેશોમાં અર્થવ્યવસ્થા
ભાંગી પડી છે. તો સાથે સાથે હવે આ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પણ આ
અર્થવ્યવસ્થા પર મોટા પાયે અસર કરી રહ્યું છે. અર્થવ્યવસ્થાને સુધારવા માટે સંઘર્ષ
કરી રહેલા દેશોમાં રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાથી જ ખોરાક, ઉર્જા અને આર્થિક સંકટને વધુ ઘેરી બનાવવાની અપેક્ષા છે.
યુનાઈટેડ નેશન્સ એજન્સી ફોર
ધ પ્રમોશન ઓફ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટના સેક્રેટરી જનરલ રેબેકા ગ્રિન્સપને નિવેદન
આપતા જણાવ્યું છે કે આ યુદ્ધના પગલે 107 દેશો ખાદ્ય, ઉર્જા અને આર્થિક સંકટના સામનો કરી રહ્યા છે, જ્યારે 69 દેશો ત્રણેય પરિબળોને ધ્યાનમાં રાખીને ગંભીર
પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. રેબેકાના જણાવ્યા અનુસાર આ દેશો ખૂબ જ મુશ્કેલ આર્થિક સમયનો સામનો કરી રહ્યા છે. તેમને બચાવવા
માટે કોઈ બાહ્ય ભંડોળ નથી, કોઈ નાણાકીય સહાય માટે કોઈ અવકાશ નથી.
અહેવાલમાં દેશોને ખુલ્લા
બજારો દ્વારા ખાદ્ય ચીજો અને ઈંધણનો સતત પ્રવાહ સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી
છે. તે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને મૂડીનો વધુ પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે
શક્ય તેટલું બધું કરવા કહે છે. શરણાર્થીઓ માટેના સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશનર
ફિલિપો ગ્રાન્ડીએ ટ્વિટર પર લખ્યું, યુક્રેન છોડીને
શરણાર્થીઓની સંખ્યા 20 લાખ સુધી પહોંચી ગઈ છે. યુદ્ધની શરૂઆતથી મોટી સંખ્યામાં લોકોએ
સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. આ લોકોએ યુક્રેનના પાડોશી દેશોમાં આશરો લીધો છે.
વિશ્વ ખાદ્ય સુરક્ષા
સમિતિના વડા ગેબ્રિયલ ફેરેરો ડી લોમા-ઓસોરિયોએ કહ્યું કે પરિસ્થિતિ સારી નથી.
કોરોના રોગચાળા પછી ભૂખમરો ધીમે ધીમે વધી રહ્યો હતો, પરંતુ હવે તેમાં નોંધપાત્ર
વધારો થયો છે. યુનાઈટેડ નેશન્સ કમિટિ ફોર ધ વોર ઓન હંગરના અધિકારી લોમા ઓસોરિયોએ
જણાવ્યું કે કોરોના મહામારી પહેલાની સરખામણીમાં હાલમાં વિશ્વમાં અંદાજિત 161 મિલિયન વધુ લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. હાલમાં તેમની કુલ સંખ્યા 821 મિલિયન હોવાનો અંદાજ છે.