યુક્રેનના ખારકીવમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે 6 કલાક યુદ્ધ રોકશે રશિયા
યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 8
દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા
માટે ભારત સરકાર ભરપૂર પ્રયાસ કરી રહી છે. આ માટે એરફોર્સની પણ મદદ લેવામાં આવી
રહી છે. ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે રશિયા સાથે એક મહત્વપૂર્ણ
કરાર કર્યો છે. ખારકીવમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે રશિયાએ 6 કલાક માટે યુદ્ધ રોકવા માટે સહમતિ દર્શાવી છે. ખારકીવથી યુક્રેનની
આસપાસના દેશોની સરહદો સુધી ત્યાં ફસાયેલા ભારતીય લોકોને સુરક્ષિત રીતે લઈ જવા માટે
આ કરાર કરવામાં આવ્યો છે.
યુક્રેનના ખારકીવ શહેરમાં હજુ પણ હજારો
વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીયોને
બહાર જવાની મંજૂરી નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાત્રે રશિયાના
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ યુક્રેનમાં
ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિએ
પીએમને કહ્યું હતું કે રશિયા દરેક સંભવ મદદ કરવા તૈયાર છે. યુક્રેનની સેના ખારકીવમાં
ભારતીય વિદ્યાર્થીઓનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે.
પીએમ મોદી સાથેની વાતચીત દરમિયાન
વ્લાદિમીર પુતિને ખાતરી આપી હતી કે ભારતીય વિદ્યાર્થીઓને યુદ્ધ વિસ્તારમાંથી બહાર
કાઢીને ભારત મોકલવા માટે તમામ જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે. રશિયન સેના આ
દિશામાં તમામ પ્રયાસો કરશે. તેમણે ભારતીય વિદ્યાર્થીઓના તાત્કાલિક બચાવ માટે રશિયન
આર્મી દ્વારા ખારકિવથી રશિયા સુધી સુરક્ષિત કોરિડોર બનાવવાની પણ વાત કરી હતી. તેના
બીજા જ દિવસે રશિયાએ 6 કલાક માટે યુદ્ધ રોકવા માટે સંમતિ આપી છે. ભારતીય દૂતાવાસે બુધવારે
વિદ્યાર્થીઓ સહિત તેના તમામ નાગરિકોને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શક્ય તેટલી
વહેલી તકે ખારકીવ છોડવા જણાવ્યું હતું. દૂતાવાસે એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે
ભારતીય નાગરિકો ખારકીવ છોડીને પેસોચિન, બાબાયે અને
બેઝલ્યુડોવકા પહોંચ્યા જે લગભગ 16 કિમીની ત્રિજ્યામાં છે. આ દરમિયાન ઓપરેશન ગંગા હેઠળ 3,726 ભારતીયોને આજે બુકારેસ્ટથી 8 ફ્લાઈટ, સુસેવાથી 2 ફ્લાઈટ, કોસીસથી 1 ફ્લાઈટ, બુડાપેસ્ટથી 5 ફ્લાઈટ અને રજ્જોથી 3 ફ્લાઈટ્સ દ્વારા ભારત પરત લાવવામાં આવશે.