દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે અચાનક આપી દીધું રાજીનામું
દિલ્હીના
લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે
અંગત કારણોસર પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી આપ્યું છે.
પૂર્વ IAS અધિકારી
બૈજલને 31 ડિસેમ્બર 2016ના રોજ
લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે નજીબ જંગનું સ્થાન લીધું
હતું. બૈજલ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન મુખ્ય સચિવ હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
સાથે ગવર્નન્સ-સંબંધિત મુદ્દાઓને લઈને બૈજલ વિવાદમાં હતા. તેમને ડિસેમ્બર 2016માં રાષ્ટ્રીય રાજધાનીના લેફ્ટનન્ટ
ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આજે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી
દીધું છે. 31 ડિસેમ્બર 2021 ના રોજ તેમના
કાર્યકાળના 5 વર્ષ પૂર્ણ થયા. જોકે દિલ્હીના
લેફ્ટનન્ટ ગવર્નરનો કાર્યકાળ નિશ્ચિત નથી.
તમને જણાવી દઈએ કે દિલ્હીની કેજરીવાલ સરકાર અને લેફ્ટનન્ટ
ગવર્નર અનિલ બૈજલ વચ્ચે ઘણી બાબતોને લઈને ટકરાવની વાતો સામે આવી રહી છે. બૈજલે
દિલ્હી સરકારની 1000 બસોની ખરીદી પ્રક્રિયાની તપાસ માટે ત્રણ સભ્યોની એક સમિતિ
બનાવી હતી. ભારતીય જનતા પાર્ટી આ મામલામાં સીબીઆઈ તપાસની સતત અપીલ કરી રહી હતી. લેફ્ટનન્ટ
ગવર્નર દ્વારા રચવામાં આવેલી પેનલમાં એક નિવૃત્ત IAS અધિકારી, તકેદારી વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને દિલ્હી સરકારના
ટ્રાન્સપોર્ટ કમિશનરનો સમાવેશ થાય છે. આ મુદ્દે પણ તેમની કેજરીવાલ સરકાર સાથે ઘણો
વિવાદ થયો હતો.