શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે રાનિલ વિક્રમસિંઘે નવા પીએમ બન્યા
શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે રાનિલ વિક્રમસિંઘેને દેશના નવા
વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે પીએમ તરીકે શપથ લીધા. આ પહેલા
મહિન્દા રાજપક્ષેએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કહેવા પર પીએમ પદ
પરથી રાજીનામું આપી દીધું હતું. શ્રીલંકામાં સ્થિતિ સતત કથળી રહી છે.
હિંસામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
શ્રીલંકા હાલમાં આર્થિક અને સામાજિક મોરચે સંઘર્ષ કરી રહ્યું છે. ભારે હોબાળો અને
વિરોધીઓના દબાણને કારણે મહિન્દ્રા રાજપક્ષેએ દેશના પીએમ પદ પરથી રાજીનામું આપી
દીધું હતું. તેમના સ્થાને રાનિલ વિક્રમસિંઘેને દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત
કરવામાં આવ્યા છે. તેમણે બુધવારે સાંજે પીએમ તરીકે શપથ લીધા હતા.
જણાવી દઈએ કે આ પહેલા બુધવારે જ કોર્ટે મહિન્દ્રા રાજપક્ષેની
ધરપકડની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. જો કે કોર્ટે રાજપક્ષે સહિત અનેક
રાજનેતાઓને દેશ ન છોડવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી
જેમાં કહેવામાં આવ્યું હતું કે મહિન્દા રાજપક્ષેના ત્રણ હજાર સમર્થકોએ કોલંબોમાં
ચાલી રહેલા શાંતિપૂર્ણ પ્રદર્શન પર હુમલો કર્યો અને શહેરમાં હિંસા ભડકાવી.
શ્રીલંકાના નવા વડા પ્રધાનની નિમણૂક કરતાં પહેલાં ગોટાબાયાએ
રાજપક્ષેને સ્પષ્ટ કહ્યું હતું કે હું યુવા પ્રધાનમંડળની નિમણૂક કરીશ જેમાં
રાજપક્ષે પરિવારનો એક પણ સભ્ય નહીં હોય. અલગ પક્ષમાં હોવા છતાં રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને
મહિન્દા રાજપક્ષેની નજીક હોવાનું કહેવાય છે. જાણકારોનું માનવું છે કે આ જ કારણ છે
કે તેમને પીએમ બનાવવામાં આવ્યા છે.