કોંગ્રેસને આપવામાં આવેલી લીડરશીપ ફોર્મ્યુલામાં ન તો રાહુલ ગાંધી હતા કે ન તો પ્રિયંકા વાડ્રા
છેલ્લા ઘણા સમયથી રણનીતિકાર પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવાની
આશંકાને લઈને દેશભરમાં ચર્ચા ચાલી હતી. જો કે આખરે પ્રશાંત કિશોરે કોંગ્રેસ સાથે
જોડાવાનો નિર્ણય રદ્દ કર્યો છે અને ના કહી દીધી છે. ત્યારે સવાલ એ થાય છે કે આખરે
એવું તે શું થયું કે બધુ બરાબર ચાલી રહ્યું હતું તેમ છતા પ્રશાંત કિશોરે કોંગ્રેસ
સાથે ન જોડાયા. હાલમાં જ આ મામલે પ્રશાંત કિશોરે તમામ મુદ્દાઓ પર જવાબ આપ્યા છે.
પ્રશાંત કિશોરે ખુલીને વાત કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી કે પ્રિયંકા વાડ્રા
કોંગ્રેસને આપવામાં આવેલી લીડરશીપ ફોર્મ્યુલામાં નથી. મતલબ એ થયો કે પ્રશાંત
કિશોરે નક્કી કરેલી ફોર્મ્યુલામાં કોંગ્રેસની આગેવાની માટે ગાંધી પરિવારમાંથી કોઈને
આપવાની ન હતી. પ્રશાંત કિશોરે કહ્યું કે તેમને કોંગ્રેસ દ્વારા શું કહેવામાં
આવ્યું અને તેમણે કોંગ્રેસને શું સૂચનો આપ્યા. પ્રશાંત કિશોરે કહ્યું કે મારે
કોંગ્રેસને જે કહેવું હતું તે કહ્યું. તેઓ મારી વાત સાંભળે કે ન સાંભળે એ તેમની
ઈચ્છા છે. તેવી જ રીતે મારે કોંગ્રેસમાં જવું કે નહીં તે
મારા પર નિર્ભર છે.
પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું કે, કોંગ્રેસને કોઈ પીકેની જરૂર નથી.
મારું કદ એટલું મોટું નથી કે રાહુલ ગાંધી મને લાગણી આપે. કોંગ્રેસ પાસે મોટા મોટા
વ્યક્તિઓ છે તેમને મારી જરૂર નથી. આ વાક્ય સાથે પીકેએ કોંગ્રેસને આડકતરી રીતે ટોણો
માર્યો હતો. પ્રશાંત કિશોરે કહ્યું કે તેમણે કોંગ્રેસને પહેલા જ કહી દીધું છે કે
પાંચ રાજ્યોમાં તેમની કોઈ શક્યતા નથી. આવનારી લોકસભા ચૂંટણીમાં પીકેની શું તૈયારી
હશે તેના પર તેમણે કહ્યું કે તેમની પાસે 2024 માટે કોઈ તૈયારી નથી. મોદીને પડકારના સવાલ પર પીકેએ કહ્યું કે મને
ખબર નથી કે 2024ની લોકસભા ચૂંટણીમાં મોદીને કોણ
પડકારશે.પ્રશાંત કિશોરે કહ્યું કે મને મમતા બેનર્જી સાથે કામ કરવામાં કોઈ સમસ્યાનો
સામનો કરવો પડ્યો નથી. હું ક્યારેય તેની સાથે મુશ્કેલીમાં પણ પડ્યો નથી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો ઇનકાર કરી
દીધો હતો. છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે પ્રશાંત કિશોર
કોંગ્રેસમાં જોડાઈ શકે છે, પરંતુ બે દિવસ પહેલા આ તમામ અટકળો પર
પાણી ફેરવતા પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાની મનાઈ કરી દીધી હતી. તમને જણાવી
દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષે લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને એક સમિતિની રચના કરી હતી. પ્રશાંત કિશોરને આ
સમિતિના સભ્ય તરીકે પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમણે ઇનકાર કર્યો હતો.