ગુજરાતમાં દર વર્ષે 15%થી વધુ દરે મરીન સર્વિસ સપોર્ટનો કારોબાર વધવાની ધારણા
અદાણી પોર્ટ્સ આજે ભારતની પ્રખ્યાત મરીન સર્વિસ પ્રોવાઈડર કંપની 'ઓશન સ્પાર્કલને અદાણી હાર્બર સર્વિસીસ દ્વારા 'ઓલ-કેશ' ડીલમાં Rs 1700 કરોડ (એન્ટરપ્રાઇઝ મૂલ્યાંકન) માં ખરીદી લીધી છે. ઓશન સ્પાર્કલ કંપનીનું આ 100% ઇક્વિટી એક્વિઝિશન અદાણી પોર્ટ્સ સબસિડિયરી કંપની અદાણી હાર્બર સર્વિસિસ દ્વારા કરવામાં આવ્યું છે. ઓશન સ્પાર્કલની પ્રી એક્વિઝિશન બેલેન્સશીટ ફ્રીકેશ તરીકે Rs 300 કરોડ દર્શાવે છે.
1995 માં સ્થપાયેલી, ઓશન સ્પાર્કલ કંપની ગુજરાત રાજ્યમાં સ્થિત બંદરો સહિત મોટાભાગના ભારતીય બંદરોને પોર્ટ સપોર્ટ સેવાઓમાં અગ્રણી કંપની રહી છે. ઓશન સ્પાર્કલ કંપની હાલમાં ભારતના તમામ મોટા બંદરો, 15 નાના બંદરો અને દેશના ત્રણેય LNG ટર્મિનલ્સ ને પોર્ટ સપોર્ટ સેવાઓ પૂરી પાડે છે.
ઓશન સ્પાર્કલ કંપનીના સ્થાપક-ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જયરાજ કુમાર ગુજરાત ફર્સ્ટ સાથેની વિશિષ્ટ વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની કંપનીના નવા માલિક અદાણી ગ્રૂપ કંપનીનું વર્તમાન નામ બદલશે નહીં અને તે આગામી સૂચના સુધી કંપનીના ચેરમેન તરીકે ચાલુ રહેશે. "હું હૈદરાબાદમાં ઓશન સ્પાર્કલ ની ઓફિસમાં રહીશ અને અમદાવાદમાં અદાણી હેડક્વાર્ટરમાં શિફ્ટ થવાનો નથી," તેમ જયરાજ કુમારે કહ્યું હતું.
જયરાજ કુમારે જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં દર વર્ષે 15% થી વધુ દરે મરીન સર્વિસ સપોર્ટનો કારોબાર વધવાની ધારણા છે, જે 42 મોટા અને નાના બંદરો ધરાવે છે અને ભારતમાં 1200 કિલોમીટરનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. "આગામી વર્ષોમાં ગુજરાતના કાર્ગો અને ક્રુઝ મેરીટાઇમ સેક્ટરનો ખૂબ જ અપેક્ષિત ઝડપી વિકાસ રાજ્યના અર્થતંત્ર માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે," તેમણે જણાવ્યું હતું.
'ઓશન સ્પાર્કલ' 94 પોતાના જહાજો અને અન્ય કંપનીઓની માલિકીના 13 જહાજોના એસેટ બેઝ સાથે ટૉવેજ, પાયલોટેજ અને ડ્રેજિંગ મરીન સપોર્ટ ઓપરેશનમાં અગ્રણી ભારતીય કંપની છે. વર્ષોથી, ઓશન સ્પાર્કલ એ સમગ્ર ભારતમાં 1,800 કર્મચારીઓની ટીમ બનાવી છે અને તૈનાત કરી છે. કંપનીએ ઓમાન, સાઉદી અરેબિયા, શ્રીલંકા, કતાર, યમન અને આફ્રિકામાં તેની કામગીરી દ્વારા વૈશ્વિક દરિયાઈ સેવામાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે. આ કંપની ને તેના હાલના ગ્રાહકો સાથે લાંબા સમયથી સંબંધો છે, જેમાં 5 થી 20 વર્ષ સુધીના બિઝનેસ કોન્ટ્રાક્ટ છે અને કોન્ટ્રાક્ટની સરેરાશ અવધિ લગભગ 7 વર્ષ છે.