'હિંમત હોય તો દાઉદ ઈબ્રાહિમને મારીને બતાવો', ઉદ્ધવ ઠાકરેનો મોદી સરકારને ખુલ્લો પડકાર
શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોદી
સરકારને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે જો મોદી સરકાર પાસે સત્તા છે તો દાઉદ
ઈબ્રાહિમને મારીને બતાવે. મહારાષ્ટ્ર વિધાનસભામાં બોલતા ઉદ્ધવ ઠાકરેએ NCP નેતા નવાબ મલિકનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે નવાબ મલિકના દાઉદ
ઈબ્રાહિમ સાથે સંબંધો છે, તો આટલા વર્ષો સુધી કેન્દ્રીય એજન્સીઓ
શું કરી રહી હતી? તેમણે નવાબ મલિકના રાજીનામાની માંગ
સાથે મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના ધારાસભ્યોના
સંદર્ભમાં આ વાત કહી. ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રની ભાજપ સરકારને પૂછ્યું કે આતંકવાદીઓ
અફઝલ ગુરુ અને બુરહાન વાની પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી પીડીપી સાથે શા માટે સરકાર
બનાવી? આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ભાજપના નેતા
અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ
કરતાં કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેવેન્દ્ર ફડણવીસને નોકરીએ રાખવા
જોઈએ.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપે છેલ્લી ચૂંટણી રામ મંદિર પર લડી હતી
અને હવે આગામી ચૂંટણીમાં દાઉદ ઈબ્રાહિમના નામ પર વોટ માંગશે. પૂર્વ અમેરિકી
રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બરાક ઓબામા પાકિસ્તાનમાં
ઘૂસીને લાદેનને મારી નાખ્યા, છતાં ક્યારેય લાદેનના નામે વોટ માંગ્યા
નથી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાના સહયોગી NCPના નેતા નવાબ મલિકને દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં 23 ફેબ્રુઆરીએ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. NCPએ નવાબ મલિકને તેમના તમામ પદો પરથી હંગામી ધોરણે હટાવી દીધા છે.
ઉલ્લેખનિય છે કે અગાઉ મંગળવારે EDએ ઉદ્ધવ ઠાકરેના સાળાની 6.45 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. આ મામલે ભાજપના નેતા કિરીટ સૌમૈયાએ પણ
ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે સત્તામાં આવ્યા બાદ
ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાને માફિયા સેના બનાવી દીધી છે.