લેફ્ટનન્ટ જનરલ ‘મનોજ પાંડે’ બનશે દેશના આગામી ‘આર્મી ચીફ’, સરકારે નિમણૂકને આપી ‘લીલી ઝંડી’
લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે આવતા મહિને ભારતીય સેનાના વડા બનવા જઈ
રહ્યા છે. લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે ભારતીય સેનાના વડા તરીકે નિયુક્ત થનારા પહેલા
એન્જિનિયર છે. વર્તમાન આર્મી ચીફ એમ.એમ.નરવણેના સ્થાને લેફ્ટનન્ટ જનરલ મનોજ
પાંડેની નિમણૂક કરવામાં આવી રહી છે. એમ.એમ. નરવણે આવતા મહિને નિવૃત્ત થવાના છે.
જનરલ નરવણે પછી લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે ભારતીય સેનાના સૌથી વરિષ્ઠ અધિકારી છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં જ લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેએ લેફ્ટનન્ટ જનરલ
સીપી મોહંતીની જગ્યાએ ભારતીય સેનાના વાઇસ ચીફ ઓફિસર તરીકેનો કાર્યભાર સંભાળ્યો
હતો. વાઇસ ચીફ બનતા પહેલા લેફ્ટનન્ટ જનરલ પાંડે ઈસ્ટન આર્મી કમાન્ડર હતા. સેનાના
વડા તરીકે લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેનું નામ એવા સમયે સામે આવી રહ્યું છે જ્યારે
એવી અટકળો ચાલી રહી છે કે જનરલ નરવણેને આગામી સીડીએસ તરીકે નિયુક્ત કરવામાં આવી
શકે છે. ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવતના મોત બાદ દેશમાં CDSનું પદ ખાલી છે. 8 ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર
દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિખા સહિત 12 સેનાના જવાનો
શહીદ થયા હતા.
જનરલ મનોજ પાંડે કોણ છે?
લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે PVSM, AVSM, VSM અને નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. લેફ્ટનન્ટ જનરલ
પાંડે 1982માં કોર્પ્સ ઓફ એન્જિનિયર્સમાં કમિશન્ડ
થયા હતા. જનરલ મનોજ પાંડેએ જમ્મુ અને કાશ્મીરના સંવેદનશીલ પલ્લાનવાલે સેક્ટરમાં
ઓપરેશન પરાક્રમ દરમિયાન એલઓસી પર 117 એન્જિનિયર
રેજિમેન્ટની કમાન્ડ કરી હતી. જનરલ ઓફિસર સ્ટાફ કોલેજના સ્નાતક છે અને તેણે
કેમ્બ્રેલી (યુકે) અને હાઈ કમાન્ડ (એચસી) અને નેશનલ ડિફેન્સ કોલેજ (એનડીસી) જેવા
અભ્યાસક્રમો કર્યા છે. આર્મીમાં 39 વર્ષથી વધુની તેમની કારકિર્દીમાં તેમણે ઘણા પડકારજનક લશ્કરી મિશનનું
નેતૃત્વ કર્યું છે. જનરલ ઓફિસરે વેસ્ટર્ન થિયેટરમાં એન્જિનિયર બ્રિગેડને કમાન્ડ
કરી છે. સ્ટ્રાઈક કોર્પ્સમાં ભાગ લેતા જનરલ ઓફિસરે LoC પર ઈન્ફન્ટ્રી બ્રિગેડને કમાન્ડ કરી
છે.