દિવંગત CDS જનરલ બિપિન રાવતને 21 માર્ચે મરણોપરાંત પદ્મ વિભૂષણ કરાશે એનાયત
દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતને
21 માર્ચે મરણોપરાંત પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે. 21 માર્ચે તેમની પુત્રી કૃતિકા અને
તારિણી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી આ સન્માન સ્વીકારશે. આ વર્ષે 21 અને 28 માર્ચે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ
પુરસ્કાર એનાયત કરવામાં આવશે. 25 જાન્યુઆરીએ 128 લોકોને પદ્મ પુરસ્કારથી
સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાંથી ચારને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રીથી નવાજવામાં આવશે. સીડીએસ જનરલ રાવત ગયા વર્ષે 8 ડિસેમ્બરે તમિલનાડુમાં એક
હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયા હતા. જણાવી દઈએ કે, પદ્મ વિભૂષણ ભારત સરકાર દ્વારા
આપવામાં આવતું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. જનરલ બિપિન રાવતને 31 ડિસેમ્બર 2019ના રોજ દેશના પ્રથમ CDSની જવાબદારી સોંપવામાં આવી હતી.
સીડીએસનું પદ આપવામાં આવતા પહેલા તેઓ દેશના 27મા આર્મી ચીફ હતા.
દિવંગત
બિપિન રાવતને 31 ડિસેમ્બર 2019ના રોજ સીડીએસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ
લક્ષ્મણ સિંહ રાવતના પુત્ર બિપિન રાવતનો જન્મ ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં થયો હતો.
તેમનો પરિવાર ઘણી પેઢીઓથી સેનામાં સેવા આપી રહ્યો છે. બિપિન રાવત સેન્ટ એડવર્ડ
સ્કૂલ શિમલાના અને નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકસાલાના ભૂતપૂર્વ વિદ્યાર્થી
રહી ચૂક્યા છે. તેમને ડિસેમ્બર 1978માં ભારતીય મિલિટરી એકેડેમી, દેહરાદૂનમાંથી 11મી ગોરખા રાઈફલ્સની 5મી બટાલિયનમાં કમિશન આપવામાં
આવ્યું હતું, જ્યાં
તેમને ‘સ્વોર્ડ
ઓફ ઓનર’થી
નવાજવામાં આવ્યા હતા. ચાર
દાયકા લાંબા સૈન્ય જીવનમાં જનરલ રાવતને સૈન્યમાં બહાદુરી અને યોગદાન માટે પરમ
વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ
યુદ્ધ સેવા મેડલ, અતિ
વિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ
સેવા મેડલ, સેના
મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ સિવાય અન્ય ઘણાં સન્માન મળ્યાં હતાં.