લતા મંગેશકરના મૃત્યુ સાથે અનોખો સંયોગ, જાણો શું છે આ સંયોગ
સામાન્ય રીતે, સરસ્વતી પૂજા (વસંત પંચમી)ને બીજે દિવસે, એમની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે એવો રિવાજ છે.સરસ્વતિ
મૂર્તિ વિસર્જન દિવસે,
લતા મંગેશકરનું દિવ્ય પ્રયાણ, એ માત્ર યોગાનુયોગ નથી, ઈશ્વરીય સંકેત છે.
વસંતપંચમીની બીજી સવારે માં સરસ્વતીની
જેના ઉપર પરમકૃપા રહી તેવા ભારતરત્ન લતાજીએ રવિવારે સવારે સમગ્ર ભારતવર્ષને સ્તબ્ધ
અને શોકાતુર કરી ભારતની સંગીત વિરાસતનો સંગીતમય અંતિમ શ્વાસ લીધો. જાણે કે રવિવારે
સવારે ભારતવર્ષે પોતાનો મધુર અવાજ ગુમાવ્યો.
છ - છ દાયકા સુધી ભારતની 20 જેટલી
ભાષાઓમાં ત્રીસ હજાર કરતાં પણ વધારે એક એકથી ચઢિયાતા ગીતોનો ગજરો મુકીને, એની મહેકને અને એની ચહેકને અમરત્વ આપીને જાણે કહ્યું કે,
“તુમ્હારી મહેફિલસે જા રહે હૈ, ઉઠો હમારા આખીરી સલામ લે લો.”
માત્ર 13 વર્ષની વય અને એક કિશોરીના ખભા ઉપર નાના ભાઇ બહેનની અને
પરિવારની જવાબદારી આવી પડી પણ આ અસામાન્ય કિશોરીએ પિતા દિનાનાથ મંગેશકરે આપેલા
સંગીતના વારસાની આંગળી પકડીને સૂર સાધનાના માર્ગ ઉપર પોતાની યાત્રા શરૂ કરી.
શરૂઆતના સંઘર્ષના દિવસોમાં મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું. વર્ષ 1942માં એક અભિનેત્રી તરીકેની તેમની પહેલી ફિલ્મ હતી, “મંગલાઘોર”, જેમાં તેમણે
સ્નેહપ્રભા પ્રધાનની નાની બહેનની ભૂમિકા ભજવી હતી. એ પછીની ઘણી ફિલ્મોમાં નાની એવી
ભૂમિકા મળી.
જે જમાનામાં નૂરજહાં, અમીરબાઇ કર્ણાટકી, શમશાદ બેગમ અને રાજકુમારી જેવી મહાન ગાયિકાઓના કંઠની બોલબાલા
હતી આવા દિગ્ગજ કલાકારોની વચ્ચે પોતાની ગાયિકા તરીકેની ઓળખ બનાવવી ઘણું અઘરું કામ
હતું. પહેલું ગીત મરાઠી ફિલ્મ 'કીટી હસલ' 1942 માં મળ્યું હતુ પણ લતાજીને સૌથી મોટો બ્રેક ફિલ્મ 'મહલ'ના ગીત “આયેગા આનેવાલા” થી મળ્યો અને લતાજીએ એ પછી કદી પાછું વળીને જોયું જ નહીં.
વર્ષ 1980માં નવી ગાયિકાઓને તક મળે એટલા માટે એમણે ફિલ્મોમાં ગાવાનું
ઓછુ કર્યું,
પણ ''હવામેં ઉડતા જાયે મેરા લાલ દુપટ્ટા મલમલ કા” જેવા અલ્લડ ગીતથી શહેનશાહ સાથે બગાવત કરતી એક નર્તકીની ખુમારી “પરદા નહી જબ કોઇ ખુદાસે, બંદો સે પરદા કરના ક્યા,
જબ પ્યાર કિયા તો ડરના ક્યા” , તો વળી “અલ્લાહ
તેરો નામ ઇશ્વર તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન” ને પછી ભારતીય સંસ્કૃતિના સત્યમ શિવમ સુંદરમ ના ધ્વનિને પોતાના
કંઠથી પુન:જીવીત કર્યો અને આ અને આવા એમના સદાબહાર ગીતો પ્રત્યેક ભારતીયના
અસ્તિત્વમાં “મન ડોલે તેરા તન ડોલે” બનીને લોહીમાં ઓગળતા ગયા.
અભિનય સમ્રાટ દિલીપકુમારે એક શો માં
લતાજીને રજૂ કરતાં ઘણી ઉત્તમ વાતો કરેલી પણ એ ઉત્તમ વાતોને અંતે કહેલું એક સત્ય
આજે કાનમાં ગુંજે છે,
તેમણે કહેલું “ લતાદીદી કો મેં કિસકી ઉપમા દું? સંસારમેં કેવલ એક હી લતા થી, હૈ ઓર રહેગી - ઉતના હી કહુંગા, લતાજી યાને લતાજી.”
કહેવાય છે કે થોડાક દિવસો પહેલાં એમને
દવાખાનામાં દાખલ કરાયા તે દિવસની સવારે પણ એમણે નિત્યનિયમ મુજબ રિયાઝ કર્યો હતો.
એમની મુખમુદ્રામાંથી છલકાતું બાળક જેવું
નિર્દોષ હાસ્ય અને આંખોમાં ઝળહળતું માઁ સરસ્વતીના વરદાનનું તેજ હવે ક્યાં જોવા
મળશે?
એ પણ એક યોગાનુયોગ છે કે પ્રત્યેક
ભારતીયના હોઠે ચઢેલું અને જે ગીત સાંભળીને પંડિત જવાહરલાલ નહેરૂ રડી પડેલાં તે ગીત
“એય મેરે વતન કે લોગો” ના સર્જક કવિ પ્રદીપ હતા અને જોગાનુજોગ રવિવારે તેમની જન્મતિથી
હતી,
જ્યારે લતાદીદીએે અંતિમ શ્વાસ લીધા.
આપણું પ્રિય ભારત, ભારતનું ફિલ્મસંગીત જાણે કે અનાથ, અવાક્ અને નિર્ધનતાનું ડૂસકું બનીને લતાજીના અવસાનથી ગળામાં
બાજેલા ડૂમાને ઓગાળવા કણસી બોલી રહ્યું છે કે,
“એય મેરે વતન કે લોગો, જરા આંખમેં ભર લો પાની !!!”