જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતની હત્યા થતા પંડિતો ઉતર્યા રસ્તા પર, હાઈવે કર્યા જામ
જમ્મુ અને
કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યાથી ખળભળાટ મચી
ગયો છે. આ ઘટનાને લઈને કાશ્મીરી
પંડિતોમાં ગુસ્સો છે. ગુસ્સે ભરાયેલા કાશ્મીરી પંડિતોએ જમ્મુ-શ્રીનગર હાઈવે બ્લોક
કરી દીધો હતો. આ સાથે અનંતનાગ સહિત અનેક જગ્યાએ લોકોએ પ્રદર્શન કર્યું અને ન્યાયની
માંગ કરી છે. આ ઘટના પર રાહુલ ભટ્ટના પિતાએ સરકાર પાસે તપાસની માંગ ઉઠાવી છે. બીજી
તરફ રાહુલ ભટ્ટ પર હુમલાની જવાબદારી આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી હોવાની
માહિતી મળી છે.બુધવારે કાશ્મીરના બડગામ જિલ્લામાં સ્થિત ચદૂરાની તહસીલદાર ઓફિસમાં
ઘૂસીને બે આતંકવાદીઓએ સરકારી કર્મચારી રાહુલ ભટની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
આરોપ છે કે હત્યારાઓએ પહેલા કાશ્મીરી પંડિતોને ઘાટી છોડી જવાની ધમકી આપી અને પછી
હુમલો કર્યો. રાહુલ ભટ કાશ્મીરી પંડિત છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત
નીપજ્યું હતું.
રાહુલ ભટ્ટ
ચદૂરામાં મહેસૂલ વિભાગમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. તેની હત્યાને લઈને
કાશ્મીરી પંડિતોમાં ગુસ્સો છે. રોષે ભરાયેલા લોકોએ જમ્મુ શ્રીનગર હાઈવે બ્લોક કરી
દીધો હતો. લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે. આ સાથે અનંતનાગ સહિત ઘાટીના ઘણા
વિસ્તારોમાં લોકોએ પ્રદર્શન કર્યું. લોકો સરકાર પાસે આતંકવાદીઓ પર કાર્યવાહી
કરવાની માંગ કરી રહ્યા છે. આ ઘટના અંગે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ
સિન્હાએ કહ્યું કે, હું બડગામમાં આતંકવાદીઓ દ્વારા રાહુલ
ભટ્ટની ઘાતકી હત્યાની સખત નિંદા કરું છું. આ જઘન્ય આતંકવાદી હુમલા પાછળના લોકોને
બક્ષવામાં આવશે નહીં. દુઃખની આ ઘડીમાં જમ્મુ અને કાશ્મીર સરકાર શોકગ્રસ્ત પરિવાર
સાથે છે.
ગયા મહિને દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના છોટોગામ વિસ્તારમાં મોટરસાઇકલ
પર સવાર બે આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિત દુકાનદાર પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં
બચી ગયેલા પીડિતની ઓળખ સોનુ કુમાર તરીકે થઈ હતી. જ્યારે ગયા વર્ષે ઑક્ટોબરમાં કાશ્મીર ખીણમાં મોટાભાગે લઘુમતી સમુદાયોને નિશાન બનાવીને નાગરિકોની
હત્યાઓ થઈ હતી. શ્રીનગરની સૌથી પ્રખ્યાત ફાર્મસીના માલિક અને જાણીતા કાશ્મીરી
પંડિત માખન લાલ બિંદુની 5 ઓક્ટોબરે તેમની દુકાનમાં ગોળી મારીને
હત્યા કરવામાં આવી હતી. આ પછી શ્રીનગરમાં સ્ટ્રીટ ફૂડ વેન્ડર વીરેન્દ્ર પાસવાન અને
એક સરકારી શાળાના આચાર્ય સુપિન્દર કૌરની પણ હત્યા કરવામાં આવી હતી.