JUNAGADH : પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરાની ઉજવણી, એસ.પી સહીતના અધિકારીઓ દ્વારા કરાયું શસ્ત્ર પૂજન
અહેવાલ - સાગર ઠાકર, જુનાગઢ
જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાર્ટરના શસ્ત્રાગારમાં શસ્ત્રોને શણગારવામાઁ આવ્યા, એસપી, ડીવાયએસપી સહીતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શસ્ત્રોનું વિધિ વિધાન પૂર્વક પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.પોલીસ વિભાગ દ્વારા દશેરાના દિવસે શસ્ત્ર પૂજન સાથે શસ્ત્રોની સફાઈ અને મરામત પણ કરવામાં આવે છે.શસ્ત્રાગારમાં દશેરા નીમીત્તે શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું. આધુનિક શસ્ત્રો, મશીનગન,પિસ્તોલ તથા બુલેટ્સને સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા અને સમાજની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી.
ભગવાન રામે રાવણ ઉપર વિજય મેળવ્યો ત્યારથી વિજયાદશમી તરીકે આ તહેવારની ઉજવણી થાય છે. વિજયા દશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય,અસત્ય પર સત્યનો વિજય.આધુનિક યુગમાં હવે યુધ્ધ તો નથી થતાં અને સમય જતાં સામાન્ય લોકો પાસે શસ્ત્રો પણ નથી હોતાં. નવા કાયદા મુજબ પરવાનગી વગર શસ્ત્રો રાખવા ગુન્હો બને છે, હા અલબત જેમની પરંપરા છે અને જેમની પાસે વારસાગત એક યાદી રૂપે કોઈ શસ્ત્ર હોય કે જે માત્ર એક પરંપરાના ચિન્હ સ્વરૂપ હોય તે માન્ય રહેતું છે.
રાજા રજવાડાના સમયમાં જ્યારે યુધ્ધ થતાં ત્યારે યોધ્ધાઓ પોતાના આત્મરક્ષણ, ધર્મની રક્ષા કે પોતાના દેશની રક્ષા માટે યુધ્ધ કરતાં અને જેમના થકી યુધ્ધમાં તેઓ વિજયી થતાં, તેવા તેમના વિવિધ શસ્ત્રોનું વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે પૂજન અર્ચન કરતાં. આજે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ પાસે શસ્ત્રાગાર છે, કારણ કે તેમને સમાજની રક્ષા કરવાની છે, સમાજમાં શાંતિ પ્રસ્થાપિત કરવાની છે, ગુનેહગારોને કાબુમાં લેવા શસ્ત્રોની આવશ્યકતા રહે છે. જૂનાગઢ પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો અને લોકો નકારાત્મકતા માંથી બહાર આવે,મનુષ્ય જીવન સ્વસ્થ અને તંદુરસ્ત રહે તથા સૌ સુરક્ષિત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી.
આ પણ વાંચો -- Palanpur : કોન્ટ્રાકટરને હાજર નહિ કરે ત્યાં સુધી પરિવાર લાશ નહિ સ્વીકારે તેવો નિર્ણય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે