ઘાટીમાં ફરી આતંકી હુમલો, CRPFની બસ પર કર્યો ગ્રેનેડ હુમલો
જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકીઓ સક્રિય થયા છે. હાલમાં ફરી એકવખત આતંકીઓ
દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો છે. તમામ સુરક્ષા બંદોબસ્ત હોવા છતા હુમલાઓમાં
સતત વધારો થઈ રહ્યો છે. આજે ફરી આતંકીઓએ CRPFની બસ પર ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો છે. આ હુમલામાં જમ્મુ કાશ્મીરના
કુલગામ જિલ્લામાં એ સમયે હુમલો થયો હતો જ્યારે જ્યારે બસ જવાનોને લઈને જઈ રહી હતી.
આતંકવાદીઓએ કુલગામ નજીક બરાજલુ ખાતે બસ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જો કે સદનસીબે ગ્રેનેડ બસને
અથડાયો ન હતો અને રોડની બાજુમાં પડ્યો હતો. જેના પગલે બસને કોઈ નુકસાન થયું ન
હતું. આ હુમલામાં કોઈ જવાન ઘાયલ થયાના સમાચાર નથી. ચાર દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના
ચથા કેમ્પ પાસે આતંકીઓએ CRPFની બસને નિશાન બનાવી હતી. આ હુમલામાં CRPFનો એક ASI શહીદ થયા હતા.
જ્યારે ચાર જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
આતંકવાદીઓએ સવારે લગભગ 4 વાગે સુંજવાન વિસ્તારમાં CRPF કેમ્પ પર
હુમલો કર્યો હતો. CRPFએ પણ મક્કમતાથી આતંકવાદીઓનો સામનો કર્યો
અને ચાર આતંકવાદીઓને ઠાર કર્યા. છેલ્લા એક મહિનામાં ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં
ઝડપથી વધારો થયો છે. દર વર્ષે રમઝાન મહિનામાં ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થાય
છે. આ દરમિયાન ઘણા કુખ્યાત આતંકવાદીઓ પણ બહાર આવે છે અને સેનાની ગોળીઓના નિશાને
બને છે. તાજેતરમાં આવા જ સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના કુખ્યાત આતંકવાદી યુસુફ
કંત્રુને ઠાર માર્યો હતો. કાંત્રુ પર 12 લાખ રૂપિયાનું ઈનામ હતું. કાન્ત્રુની સાથે
ચાર આતંકવાદીઓને પણ સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. યુસુફ કાંત્રુ લશ્કરનો ટોચનો
કમાન્ડર હતો જેના પર ઘાટીમાં 12 આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનો આરોપ હતો.