પરમિશન વગર કાઢવામાં આવી હતી શોભાયાત્રા, બજરંગ દળ અને VHP સામે કેસ દાખલ
દિલ્હી પોલીસે હનુમાન જયંતિ પર જહાંગીરપુરીમાં થયેલી હિંસાના
સંબંધમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ સામે એફઆઈઆર નોંધવાની
સાથે VHPના સેવા પ્રમુખ પ્રેમ શર્માની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હવે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. હિંસાના સંબંધમાં
અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી
પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ આજે એક ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે
હનુમાન જયંતિ પર જહાંગીરપુરીમાં નીકળેલા શોભાયાત્રા માટે પોલીસ પાસેથી પરવાનગી
લેવામાં આવી ન હતી.
મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દિલ્હી પ્રાંત મુખર્જી નગર જિલ્લા વિરુદ્ધ કેસ
નોંધ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની પાસે જહાંગીરપુરીમાં શોભાયાત્રા
કાઢવાની કોઈ પરવાનગી નહોતી. જેના કારણે પોલીસે આ મામલે કાર્યવાહી કરતા વિશ્વ
હિન્દુ પરિષદના જિલ્લા સેવક પ્રમુખ પ્રેમ શર્માની ધરપકડ કરી છે. આ ધરપકડ અને એફઆઈઆરની પુષ્ટિ કરતા ઉત્તર-પશ્ચિમ જિલ્લાના ડીસીપી ઉષા રંગનાનીએ સોમવારે જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દિલ્હી પ્રાંતના આયોજકો વિરુદ્ધ 17 એપ્રિલે જહાંગીરપુરી વિસ્તારમાં 16 એપ્રિલની સાંજે પરવાનગી વિના સરઘસ કાઢવા માટે FIR નોંધવામાં આવી છે. આ સંદર્ભે આરોપી વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સેવા પ્રમુખ પ્રેમ શર્માની પોલીસે
ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
ઉલ્લેખનિય છે કે જહાંગીરપુરીમાં શનિવારે હનુમાન જયંતિના અવસર પર
નીકળેલા શોભાયાત્રા પર પથ્થરમારો કર્યા પછી બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી
હતી. આ દરમિયાન પથ્થરોની સાથે ખાલી બોટલોનો પણ ભારે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ
હિંસામાં ભીષણ તોડફોડ સાથે કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. હિંસામાં એક
સબ-ઇન્સ્પેક્ટરને ગોળી વાગી હતી. કુલ 8 પોલીસકર્મીઓ
સહિત કુલ 9 લોકો ઘાયલ થયા હતા. હવે સ્થાનિક
પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ આ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે.