પંજાબમાં મેચ દરમિયાન ઈન્ટરનેશનલ કબડ્ડી પ્લેયરની ગોળી મારી હત્યા, ગ્રાઉન્ડમાં અફરાતરફી મચી ગઈ
પંજાબના જાલંધરમાં સોમવારે સાંજે એક કબડ્ડી ખેલાડીની ગોળી મારીને
હત્યા કરવામાં આવી હતી. કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન અજાણ્યા બદમાશોએ આ ઘટનાને
અંજામ આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદીપ નાંગલ અંબિયાને ગોળી વાગતાં
સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. માહિતી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે
પહોંચી ગયો હતો.
મળતી માહિતી મુજબ આજે સાંજે સ્ટેડિયમમાં રમાઈ રહેલી કબડ્ડી
ટૂર્નામેન્ટની મેચ દરમિયાન અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ થઈ ગયો હતો. આ ફાયરિંગમાં
કબડ્ડી ટીમના ખેલાડી સંદીપ નાંગર અંબિયાને ઘણી ગોળીઓ વાગી હતી. આ જોઈને દર્શકોમાં
નાસભાગ મચી ગઈ હતી. કોઈ સમજે તે પહેલા ગોળીબાર કરનારા બદમાશો સ્થળ પરથી નાસી છૂટવામાં
સફળ થયા હતા. સ્થળ પર હાજર લોકોએ તાકીદે ઘાયલ ખેલાડીને ફોર વ્હીલરમાં હોસ્પિટલ લઈ
ગયા. જોકે, વધુ પડતું લોહી વહી જવાને કારણે
ઇજાગ્રસ્તનું રસ્તામાં જ મોત થયું હતું. બીજી તરફ માહિતી મળતા જ પોલીસની ટીમ
ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગઈ છે. આ વિસ્તારમાં સ્થિતિ વધુ વણસે નહીં તે માટે
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.