'ધ કાશ્મીર ફાઈલ્સ'ને લઈને ગુલામ નબી આઝાદે પહેલી વખત આપ્યું નિવેદન, કાશ્મીરમાં જે કંઈ પણ થયું તેના માટે...
હાલમાં ધ કાશ્મીર ફાઈલ ફિલ્મને લઈને દેશભરમાં ચર્ચા અને
વિવાદ થઈ રહ્યો છે. મોટા ભાગના લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક લોકો આ
ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. કાશ્મીરી પંડીતોની કાશ્મીરમાંથી થયેલી હિજરત મુદ્દે
બનેલી ફિલ્મને લઈને પીએમ મોદીથી લઈને અનેક નેતાઓ નિવેદન આપી ચૂક્યા છે. ત્યારે આજે
કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદની આ ફિલ્મની લઈને પહેલી વખત પ્રતિક્રિયા
સામે આવી છે. જમ્મુમાં એક કાર્યક્રમને સંબોધતા ગુલામ
નબી આઝાદે કહ્યું કે રાજકીય પક્ષો ધર્મ, જાતિ અને અન્ય
બાબતોના આધારે ચોવીસ કલાક ભાગલા પાડી શકે છે. હું મારા પોતાના પક્ષ સહિત કોઈપણ
પક્ષને માફ કરતો નથી. નાગરિક સમાજે સાથે રહેવું જોઈએ. જાતિ, ધર્મને ધ્યાનમાં લીધા વિના બધાને ન્યાય મળવો જોઈએ.
કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે હું માનું છું કે મહાત્મા
ગાંધી સૌથી મોટા હિન્દુ અને ધર્મનિરપેક્ષ હતા. કાશ્મીર ફાઈલ અંગે આઝાદે કહ્યું કે
જમ્મુ અને કાશ્મીરમાં જે કંઈ થયું તેના માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદાર છે. તેનાથી તમામ હિંદુઓ, કાશ્મીરી પંડિતો, કાશ્મીરી મુસ્લિમો, ડોગરાઓ પ્રભાવિત થયા છે.
તાજેતરમાં જ ઓમર અબ્દુલ્લાએ કાશ્મીર ફાઇલ્સ પર કહ્યું હતું કે,
'કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં વિવિધ જુઠ્ઠાણા
બતાવવામાં આવ્યા છે. જ્યારે કાશ્મીરી પંડિતો અહીંથી ચાલ્યા ગયા ત્યારે ફારુક
અબ્દુલ્લા એ સમયે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી નહોતા.
ત્યારે રાજ્યપાલ શાસન હતું અને વી.પી. સિંહની સરકારને
ભાજપનું સમર્થન હતું.