બદાયુની એક શાળામાં 28 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તમામ હોસ્પિટલમાં દાખલ
ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં 28
વિદ્યાર્થી ફૂડ પોઈઝનિંગનો શિકાર થયા છે. આ તમામ વિદ્યાર્થિનીઓ દાતાગંજ વિસ્તારના
સમરેર બ્લોકમાં આવેલ સર્વોદય વિદ્યાલયમાં ભણતી હતી. શાળામાં મોડી રાત્રે જમ્યા પછી
આ તમામ વિદ્યાર્થીઓને ઝાડા અને ઉલટી થવા લાગ્યા હતા. જેના પગલે તાત્કાલિત તમામ
વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તમામ
વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે. જો કે સારી વાત એ છે કે હાલમાં તમામ
વિદ્યાર્થીની તબિયત સારી હોવાનુ સામે આવ્યું છે.ઉલ્લેખનિય છે કે આ વિદ્યાલય આશ્રમ
પદ્ધતિ પર આધારિત છે અને તેનું સંચાલન સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
મળતી માહિતી મુજબ રાત્રે જમવામાં
બટેટાની સબ્જી અને ભાત બનાવવામાં આવ્યા હતા. જે તમામ બાળકોએ જમ્યા બાદ એક પછી એક
વિદ્યાર્થીની તબિયત લથડવા લાગી હતી. જો કે સબ્જીનો સ્વાદ કડવો લાગતા બાળકોને તેની
ફરિયાદ પણ કરી હતી. આ જમવાનું જમ્યા પછી બાળકોને અચાનક ચક્કર આવવા લાગ્યા હતા અને
ઉલટી થવા લાગી હતી. વિદ્યાર્થીઓની તબિયત લથડતા સમરેરમાં આવેલ સીએચસીમાં દાખલ
સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. જેમાં તેની સારવાર ચાલી રહી છે.
બદાયુના મુખ્ય વિકાસ અધિકારી ઋષિ રાજે
નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ શાળામાં અંદાજીત 300થી વધારે વિદ્યાર્થિનીઓ
અભ્યાસ કરી રહી છે. દરરોજની જેમ આ દિવસે પણ ભોજન બન્યા પછી ત્રણ લોકોની કમિટીએ તે
ભોજનનો ટેસ્ટ કર્યો હતો. ટેસ્ટ કર્યાના 10થી 15 મિનિટમાં તે લોકોને માથામાં દુઃખાવો
થવા લાગ્યો હતો અને ચક્કર આવવા લાગ્યા હતા. પરંતુ આ સમયની વચ્ચે અંદાજીત 28
વિદ્યાર્થિનીઓએ ભોજન કરી લીધું હતું. જેના પગલે એ તમામ વિદ્યાર્થિનીઓની તબિયત પણ
લથડી હતી. જેના પગલે તે તમામ વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખેસડવામાં આવી
હતી. ઉલ્લેખનિય છે કે શનિવારે મોટા ભાગની વિદ્યાર્થિનીઓને નવરાત્રીનું વ્રત હતું
એટલા માટે ભોજન કરનારા વિદ્યાર્થિઓની સંખ્યા ઓછી હતી. હાલમાં તમામ વિદ્યાર્થિનીઓ
સ્વસ્થ છે અને તમામને 24 કલાકના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. રવિવારે સાંજના
તમામ વિદ્યાર્થિનીઓને રજા આપી દેવામાં આવશે. આ તમામ વિદ્યાર્થિનીઓની ઉંમર અંદાજીત
10થી 14 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. ઋષિ રાજે
વધુમાં જણાવ્યું હતું કે ખાદ્ય સુરક્ષા અધિકારી અને સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા
આ ભોજનના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેની તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે કે આ ફૂડ
પોઈઝનિંગ થવાનું કારણ શું છે.