આસામ અને મેઘાલય વચ્ચેના 50 વર્ષ જૂના સીમા વિવાદનો અંત, અમિત શાહની હાજરીમાં કરાર
આસામ અને મેઘાલય વચ્ચે છેલ્લા 50 વર્ષથી ચાલી રહેલા સીમા વિવાદનો આજે અંત આવ્યો છે. બંને રાજ્યો વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી કરાર થયા છે. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આસામ અને મેઘાયલયના મુખ્યમંત્રી વચ્ચે આ કરાર થયા છે. જેમાં બંને રાજ્યના મુખ્યમંત્રી સહમત થયા છે અને સહી કરી છે.મંગળવારે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા, સાંસદ દિલીપ સેકિયા અને મેઘાલયના મુખ્ય
આસામ અને મેઘાલય વચ્ચે છેલ્લા 50 વર્ષથી ચાલી રહેલા સીમા વિવાદનો આજે અંત આવ્યો છે. બંને રાજ્યો વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી કરાર થયા છે. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આસામ અને મેઘાયલયના મુખ્યમંત્રી વચ્ચે આ કરાર થયા છે. જેમાં બંને રાજ્યના મુખ્યમંત્રી સહમત થયા છે અને સહી કરી છે.
મંગળવારે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા, સાંસદ દિલીપ સેકિયા અને મેઘાલયના મુખ્યમંત્રી કોનાર્ડ સંગમા રાજધાની દિલ્હીમાં ગૃહમંત્રી શાહને મળ્યા હતા. આ દરમિયાન સરહદ વિવાદના ઉકેલ માટે આ સમજૂતી કરવામાં આવી હતી. આસામ અને મેઘાલય વચ્ચે સરહદ પર 12 જગ્યાએ વિવાદ ચાલી રહ્યો છે. પ્રથમ તબક્કામાં 6 વિવાદિત સરહદી સ્થળોનો ઉકેલ લાવવામાં આવ્યો છે, જ્યારે બીજા તબક્કામાં બાકીની 6 જગ્યાઓ પર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરવામાં આવશે.
અમિત શાહે આ કરારને ઐતિહાસિક ગણાવ્યો છે. અમિત શાહે કહ્યું કે ‘આજનો દિવસ એક વિવાદ મુક્ત પૂર્વોત્તર ભારત માટે ઐતિહાસિક છે. દેશમાં જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે, ત્યારથી પૂર્વોત્તરમાં શાંતિ પ્રક્રિયા, વિકાસ, સમૃદ્ધિ અને ત્યાંની સાંસ્કૃતિક ધરોહરના સંવર્ધન માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. મને ખુશી છે કે આજે આસામ અને મેઘાલય વચ્ચે 12 વિવાદિત સ્થળોમાંથી 6 પર સમજૂતી થઈ છે. સરહદની લંબાઈની દ્રષ્ટિથી જોઇએ તો લગભગ 70 ટકા સરહદ આજે વિવાદ મુક્ત બની ગઈ છે. મને ખાતરી છે કે અમે બાકીની 6 જગ્યાઓ ઉપરનો વિવાદ પણ નજીકના ભવિષ્યમાં ઉકેલીશું.’
અમિત શાહે નરેન્દ્ર મોદી અને ભારત સરકાર વતી બંને રાજ્યોના મુખ્યમંત્રી અને તેમની ટીમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 4 હજાર 800 થી વધુ હથિયારો સરકાર સમક્ષ સરેન્ડર કરવામાં આવ્યા છે. 16 જાન્યુઆરીના રોજ બ્રુ રીઆંગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનો લાભ 34 હજારથી વધુ લોકોને મળ્યો હતો. ત્યારબાદ 27 જાન્યુઆરી 2020ના રોજ ઐતિહાસિક બોડો સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પછી 2021માં કાર્બી અમલાંગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આજે પણ સમજૂતી થઈ છે.
આસામના મુખ્યમંત્રી હેમંત સરમાએ કહ્યું કે આ એમઓયુ પછી અમે બીજા તબક્કાની શરૂઆત કરીશું અને આગામી 6-7 મહિનામાં બાકીની 6 વિવાદિત જગ્યાઓના ઉકેલ માટે પ્રયત્ન કરીશું. જ્યારે મેઘાલયના મુખ્યમંત્રી કોનાર્ડ સંગમાએ કહ્યું કે આગળ વધીને અમે બાકીની જગ્યાઓ કે જ્યાં વિવાદો છે તેને ઉકેલવાનો પ્રયાસ કરીશું.
Advertisement