કેજરીવાલ સરકારને દિલ્હી હાઈકોર્ટે આપ્યો ફટકો, રાશનની ડોર ટુ ડોર ડિલિવરી કરવાની યોજનાને કરી રદ
અરવિંદ કેજરીવાલ સરકારને દિલ્હી હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે.
કોર્ટે તેના વર્તમાન સ્વરૂપમાં રાશનની ડોર ટુ ડોર ડિલિવરી કરવાની યોજનાને રદ કરી
દીધી છે. કાર્યકારી ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસ્મિન સિંહે ગુરુવારે આ
ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે દિલ્હી સરકાર ઘરે-ઘરે રાશન પહોંચાડવા માટે બીજી
સ્કીમ લાવી શકે છે. પરંતુ તે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા અનાજ સાથે આ યોજના
ચલાવી શકતી નથી. દિલ્હી સરકારના રાશન ડીલર્સ અને દિલ્હી રાશન ડીલર્સ યુનિયને આ
યોજનાનો વિરોધ કરીને હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે જાન્યુઆરીમાં ચુકાદો
અનામત રાખ્યો હતો.
દિલ્હીના LG અનિલ બૈજલે આમ આદમી પાર્ટી (AAP)
સરકારની ઘર-ઘર રાશન યોજના પર પ્રતિબંધ મૂક્યો
હતો. આ યોજના હેઠળ કેજરીવાલ સરકારે રાશનની હોમ ડિલિવરીનું વચન આપ્યું હતું.
કેન્દ્ર સરકારે કહ્યું હતું કે રાશનની વાજબી કિંમતની દુકાનો રાષ્ટ્રીય ખાદ્ય
સુરક્ષા કાયદાનો અભિન્ન ભાગ છે. હવે સરકાર આ
યોજના લાગૂ નહીં કરી શકે. પહેલો વાંધો યોજનાના નામમાં 'મુખ્યમંત્રી' શબ્દના ઉપયોગ સામે હતો. કેન્દ્રએ કહ્યું કે રાશનનું વિતરણ રાષ્ટ્રીય ખાદ્ય
સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ કરવામાં આવે છે. બીજું તેણે દલીલ કરી હતી કે NFSAમાં કોઈપણ ફેરફાર માટે કાયદામાં ફેરફારની જરૂર પડશે
અને માત્ર સંસદને જ તે કરવાનો અધિકાર છે. પરિણામે યોજનાને લઈને એક જ શહેરમાં બે સરકારો સામસામે આવી. અહીં કેન્દ્રએ યોજનાના અમલીકરણનો વિરોધ કરતા કહ્યું કે તે NFSA ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે અને તેના અમલીકરણથી દિલ્હીમાં રહેતા સ્થળાંતર
કરનારાઓને રાશનથી વંચિત કરવામાં આવશે.