કોર્ટે જીગ્નેશ મેવાણીના જામીન ફગાવ્યા, ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર, ટ્વિટ મામલે આસામ પોલીસે કરી હતી ધરપકડ
ગુજરાતના
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. કથિત
ટ્વિટ માટે સ્વતંત્ર ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી અને તેને આસામ લઈ જવામાં
આવ્યા હતા. કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણીને સાંજે અમદાવાદથી ગુવાહાટી
થઈને કોકરાઝાર લાવવામાં આવ્યા હતા અને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ
કરવામાં આવ્યા હતા. મેવાણીના વકીલ મનોજ ભગવતીએ કહ્યું, પોલીસે
14 દિવસની કસ્ટડી માંગી હતી. જેનો
અમે વિરોધ કર્યો હતો. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ
મંજૂર કર્યા અને કહ્યું કે આ સમયગાળા દરમિયાન તેમને કોકરાઝારની બહાર ક્યાંય લઈ જઈ
શકાય નહીં.
આસામ
કોંગ્રેસ દ્વારા મેવાણીના સહાયક તરીકે નિયુક્ત કરાયેલા ભગવતીએ જણાવ્યું હતું કે
મેવાણી દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. ભારતીય દંડ
સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમની વિવિધ કલમો હેઠળ કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં
એફઆઈઆર નોંધાયા બાદ બુધવારે રાત્રે મેવાણીની ગુજરાતના પાલનપુર શહેરમાંથી ધરપકડ
કરવામાં આવી હતી. મેવાણીને ગુરુવારે સવારે ગુજરાતથી ગુવાહાટી એરલિફ્ટ કરવામાં
આવ્યા હતા અને પછી રોડ માર્ગે કોકરાઝાર લઈ જવામાં આવ્યા હતા.
મેવાણીની
ધરપકડની ટીકા કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેને અલોકતાંત્રિક અને
ગેરબંધારણીય ગણાવ્યું હતું. રાહુલે કહ્યું કે આ તે લોકોનું અપમાન છે જેમણે તેમને જનપ્રતિનિધિ
તરીકે ચૂંટ્યા છે. એફઆઈઆર મુજબ મેવાણીએ એક ટ્વિટમાં કથિત રીતે દાવો કર્યો હતો કે વડાપ્રધાન
નરેન્દ્ર મોદી "ગોડસેને ભગવાન માને છે". કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં
નોંધાયેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે બનાસકાંઠાના વડગામ સીટના અપક્ષ
ધારાસભ્ય મેવાણી જેમણે કોંગ્રેસને સમર્થન આપવાનું વચન આપ્યું હતું, તેમણે
મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન કોમી સદભાવની અપીલ કરવા માટે સમાન ટ્વીટનો ઉપયોગ
કર્યો હતો. મેવાણીની ધરપકડથી નારાજ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓએ શહેરના સારંગપુર સર્કલ પર
પ્રદર્શન કર્યું અને તેમની મુક્તિની માંગ કરી.