પાંચમી લહેરથી ચીનમાં હાહાકાર, હોંગકોંગમાં દર્દીઓથી ‘Housefull’ હોસ્પિટલો, રસ્તા પર સારવાર
લાગે છે કે સાચેમાં કુદરત લોકોથી રૂઠી ગયું
છે. એક સમસ્યાનું નિરાકરણ નથી આવતું ત્યાં તો ફરી બીજી સમસ્યા માથા પર મંડરાતી જ
હોય છે. હજુ તો આ યુદ્ધ પુરૂ નથી થયું ત્યાં તો ફરી વિશ્વ માટે એક અન્ય ચિંતાના
સમાચાર સામે આવ્યા છે. જી હા કોરોના પરત ફરી રહ્યો છે. વિશ્વના ઘણા દેશોમાં કોરોના
કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હોંગકોંગમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી
રહ્યા છે. અહીં પણ ચીનની જેમ ઝીરો-કોવિડ વ્યૂહરચનાનું પાલન કરવામાં આવ્યું હતું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હોંગકોંગ રોગચાળાના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી
રહ્યું છે. અહીંની હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે. જેના કારણે માર્ગો પર વ્યવસ્થા
કરીને લોકોને સારવાર આપવામાં આવી રહી છે. કોરોના તપાસ કેન્દ્રોમાં પણ ઘણી ભીડ જોવા મળી રહી છે. લોકોને તેમનો
ટેસ્ટ કરાવવા માટે કલાકો સુધી લાઈનમાં રાહ જોવી પડે છે.
હોંગકોંગમાં વધતા જતા કેસોને જોતા અધિકારીઓએ
આઈસોલેશન યુનિટ અને સારવાર કેન્દ્રોની સંખ્યા વધારવાની તૈયારીઓ તેજ કરી છે.
શનિવારે અહીં 6,063 નવા કેસ નોંધાયા છે. અધિકારીઓએ કહ્યું
કે કાઈ ટક ક્રુઝ ટર્મિનલને કોવિડ સુવિધામાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
હોંગકોંગની કટોકટીગ્રસ્ત નેતા કેરી લેમે એક નિવેદનમાં કહ્યું કે, અમે લડાઈની વચ્ચે ગંભીર પરિસ્થિતિમાં
છીએ. ચેપના ફેલાવાને રોકવા માટે હોંગકોંગમાં
કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. અહીં વાયરસ પણ નિયંત્રણમાં હતો. પરંતુ હવે મોટી સંખ્યામાં કેસ જોવા મળી
રહ્યા છે.
ચીનમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો છે. ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. શનિવારે
અહીં 195 નવા કેસ નોંધાયા હતા. જે એક દિવસ
પહેલા આવેલા 137 કેસ કરતાં વધુ છે. ચીનના નેશનલ હેલ્થ
કમિશને એક નિવેદનમાં જણાવ્યું છે કે 94 કોવિડ-19 કેસ બહારથી મુસાફરી કરી રહેલા લોકોના છે. જ્યારે 101 કેસ લોકલ ટ્રાન્સમિશન દ્વારા આવ્યા છે. ચીનમાં અત્યાર સુધીમાં ચેપના
107,707 કેસની પુષ્ટિ થઈ છે અને કુલ 4,636 મૃત્યુ નોંધાયા છે.
કેનેડાની વાત કરીએ તો અહીંના લોકો ફરજિયાત
કોરોના વેક્સિન અને પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે. લોકોને રસ્તા પરથી હટાવવા બદલ
પોલીસે તેમની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે કેટલાક દેખાવકારો હજુ પણ છોડવા
તૈયાર નથી. તેઓ ગેરકાયદેસર રીતે રસ્તા પર બેસી ગયા છે. પરંતુ જ્યાં સુધી દરેકને
દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ મિશન ચાલુ રહેશે. બ્રિટન કોરોના વાયરસથી
સંક્રમિત લોકો માટે સ્વ-અલગતાની જરૂરિયાતને દૂર કરવાની યોજના બનાવી રહ્યું છે.
આગામી સપ્તાહથી આવું થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોએ તેને જોખમી પગલું ગણાવ્યું છે.