સગર્ભાઓને આંગણવાડીમાંથી મળતી વસ્તુઓ બારોબાર વેચી નાખવાની ઉઠી ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લાના માળોડ ગામે આંગણવાડી ખાતે સ્થાનિક લોકોએ હલ્લાબોલ કર્યો છે. સ્થાનિક લોકોની ફરિયાદ છે કે, આંગણવાડી ખાતે બાળકોને પૂરતું ભોજન આપવામાં આવતું નથી. વળી ભોજનમાં પણ સડેલા વસ્તુની ખાણી-પીણીની ચીજ બનાવવામાં આવતી હોવાના કારણે સ્થાનિક લોકોએ કર્મચારીઓનો ઉધડો લીધો છે.
મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતા હોય તે પહેલા એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. પાંચ વર્ષથી નાની વયના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે તેમ જ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના માળોડ ગામની આંગણવાડીમાં આનાથી વિપરીત થઇ રહ્યું હોવાની ફરિયાદ સ્થાનિક લોકોએ કરી છે.
સ્થાનિકો લોકોનું કહેવું છે કે, આંગણવાડીમાં બાળકોનું રજીસ્ટ્રેશન વધુ દેખાડવામાં આવે છે, તેટલું જ નહીં અહીં બાળકોને સળેલું અનાજ ખવડાવવા તેમજ પૂરતું જમવાનું પણ આપવામાં આવતું નથી. ઉપરાંત સગર્ભાઓને આંગણવાડીમાંથી આપવામાં આવતી વસ્તુઓ પણ બારોબાર વેચી નાખવામાં આવતી હોવાની પણ ફરિયાદ સ્થાનિક લોકોએ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આંગણવાડી કેન્દ્ર 1985માં શરૂ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 1 થી 3 વર્ષ સુધીના બાળકોને શિક્ષણ આપવાનું કામ ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવે છે. આ સિવાય ગર્ભવતી મહિલાઓને કુપોષણથી સુરક્ષિત રાખવાનું કામ પણ આંગણવાડી કેન્દ્રમાં કરવામાં આવે છે. વર્ષ 1985માં કેન્દ્ર સરકારે એકીકૃત બળ વિકાસ સેવા કાર્યક્રમ તરીકે શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકાર અન્ય રાજ્યોની મદદથી ગ્રામીણ વિસ્તારોના બાળકો અને મહિલાઓને કુપોષણથી બચાવવા માટે કામ કરી રહી છે. જે રીતે સરકારી કચેરીઓમાં લોકો કામ કરે છે, તેવી જ રીતે આંગણવાડી કેન્દ્રોમાં સરકારી કર્મચારીઓ કામ કરે છે. આંગણવાડીને અંગ્રેજી ભાષામાં કોર્ટયર્ડ શેલ્ટર પણ કહેવામાં આવે છે. આ કેન્દ્રોમાં ગામના બાળકો અને મહિલાઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે છે.