CM યોગી આદિત્યનાથને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી, વોટસ્એપ પર મેસેજથી ખળભળાટ મચ્યો
હાઈ પ્રોફાઈલ નેતાઓને જાનથી મારી નાખવાની અવારનવાર ધમકીઓ મળતી રહેતી હોય છે. આ ક્રમમાં હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથને બોંબથી ઉડાવી મૂકવાની ધમકી મળી છે.
પોલીસ કન્ટ્રોલ રુમના 112ના વોટસ્એપ નંબર પર તેમને આવી ધમકી આપવામાં આવી હતી. જે નંબર પરથી ધમકી આપવામાં આવી છે તે શાહિદખાન નામના વ્યક્તિનો છે. પોલીસે આરોપી યુવાનની શોધખોળ હાથ ધરી છે. આ કેસમાં સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
યુવકે વોટ્સએપ નંબર પર 3 દિવસ સુધી આપી ધમકી
પોલીસ મોબાઈલ નંબરના આધારે આરોપીની શોધ શરુ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે. ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ સુશાંત ગોલ્ફ સિટી શૈલેન્દ્ર ગિરીએ મીડિયાને જણાવ્યું હતું કે 2 ઓગસ્ટની સાંજે શાહિદ ખાન નામના યુવકે યુપી 112 હેલ્પલાઇનના સોશિયલ મીડિયા વોટ્સએપ નંબર પર એક નંબરથી ત્રણ દિવસની અંદર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.
લખનઉ પોલીસે ધમકીભર્યા મેસેજની કરી પુષ્ટિ
લખનઉ પોલીસે સીએમ યોગીને ધમકીભર્યો વોટ્સએપ મળ્યો હોવાની પુષ્ટિ કરી છે. લખનઉ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં એવું જણાવાયું છે કે સીએમ યોગીને મારી નાખવાની ધમકી આપતો મેસેજ વોટ્સએપ પર આવ્યો છે. હાલમાં પોલીસ આરોપીની તલાશ કરી રહી છે.