બોમ્બે હાઈકોર્ટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને બિલગેટ્સને ફટકારી નોટીસ, જાણો શું છે મામલો
બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સને નોટિસ પાઠવી હતી અને આ મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર તેમનો જવાબ માંગ્યો હતો. એડવોકેટ દિલીપ લુણાવતે હાઈકોર્ટમાં અરજી કરી હતી જેમાં અરજદારે આક્ષેપ કર્યો હતો કે કોવિશિલ્ડની આડઅસરને કારણે તેમની પુત્રીનું મૃત્યુ થયું છે. અરજદારે તેના નુકસાન માટે વળતર તરીકે 1000 કરોડ રૂપિયાની માંગણી કરી છે.
2020 માં, ભારત સહિત વિશ્વભરના દેશોમાં કોવિડશિલ્ડ રસી સપ્લાય કરવા માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી. કરારમાં રસીના 100 મિલિયન ડોઝના ઉત્પાદનનો સમાવેશ થાય છે અને ગેટ્સ ફાઉન્ડેશનના સહયોગથી સીરમ ઇન્સ્ટિટ્યૂટે તેના વિશ્વવ્યાપી પુરવઠાની ખાતરી કરી હતી.
ભારત સરકાર, આરોગ્ય મંત્રાલય, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા, ડૉ. વી.જી. સોમાની, ડ્રગ કંટ્રોલર જનરલ અને એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાને અન્ય પ્રતિવાદી તરીકે બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઔરંગાબાદના રહેવાસી દિલીપ લુણાવતે કોર્ટમાં જણાવ્યું કે તેમની પુત્રી ધામણગાંવની SMBT ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ડૉક્ટર અને વરિષ્ઠ લેક્ચરર છે.
તેમણે કહ્યું કે સંસ્થાના તમામ આરોગ્ય કર્મચારીઓને તે લેવા માટે કહેવામાં આવ્યા બાદ તેમની પુત્રીને રસી લેવાની ફરજ પડી હતી. અરજદારે જણાવ્યું હતું કે તેની પુત્રીને ખાતરી આપવામાં આવી હતી કે રસીઓ સંપૂર્ણપણે સલામત છે અને તેના શરીર માટે કોઈ ખતરો નથી. અરજીમાં લુણાવતે કહ્યું કે ડૉ.સોમાણી અને ગુલેરિયાએ અનેક ઈન્ટરવ્યુ આપ્યા અને લોકોને ખાતરી આપી કે રસી સુરક્ષિત છે.
અરજીમાં તેમની પુત્રીનું 28 જાન્યુઆરી, 2021થી રસીનું પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે “કોવિડશિલ્ડ રસીની આડઅસર” ને કારણે 1 માર્ચ, 2021 ના રોજ તેમનું અવસાન થયું હતું. દિલીપ લુણાવતે કહ્યું કે તેઓ તેમની પુત્રીને ન્યાય આપવા માંગે છે અને “અધિકારીઓ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે હત્યા થવાની સંભાવના ધરાવતા ઘણા વધુ લોકોના જીવન બચાવવા માંગે છે.”