ત્રિપુરામાં મોટી ઉથલપાથલ, બિપ્લબ દેવે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું
ત્રિપુરાના
મુખ્યમંત્રી બિપ્લબ દેવે શનિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.
બિપ્લબ કુમાર દેવના અચાનક રાજીનામાના સમાચારે રાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચાવી
દીધી છે. બિપ્લબ કુમાર દેવની છબી ત્રિપુરામાં ભાજપના મોટા નેતા તરીકેની રહી છે.
તાજેતરમાં જ બિપ્લબ કુમાર દેવે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી
હતી. માનવામાં આવે છે કે પાર્ટી નેતૃત્વના કહેવા પર બિપ્લબ કુમાર દેવે પોતાના પદ
પરથી રાજીનામું આપ્યું છે. રાજ્યપાલને રાજીનામું સોંપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા બિપ્લબ કુમાર દેવે કહ્યું- પાર્ટી દરેક વસ્તુથી મોટી છે. મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટી માટે કામ કર્યું. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અને પછી સીએમ તરીકે મેં ત્રિપુરાના લોકોને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો. મેં રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને વિકાસ સુનિશ્ચિત કરીને કોરોનાના સમયગાળા દરમિયાન રાજ્યને તેની અસરોથી મુક્ત રાખવાનો પ્રયાસ કર્યો.
મળતી માહિતી મુજબ શનિવારે સાંજે ત્રિપુરામાં બીજેપી ધારાસભ્યોની બેઠક થશે જેમાં નવા
સીએમનું નામ નક્કી કરવામાં આવશે. ભાજપ નેતૃત્વ વતી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર
યાદવ અને ભાજપના મહાસચિવ વિનોદ તાવડે નિરીક્ષક તરીકે બેઠકમાં હાજરી આપશે. પોતાના રાજીનામા અંગે તેમણે
કહ્યું, દરેક વસ્તુ ચોક્કસ સમય માટે જ આવે છે. અમે તે નિર્ધારિત સમયમાં કામ પણ
કરીએ છીએ. જો મને સીએમ કે અન્ય કોઈ પણ જગ્યાએ મોકલવામાં આવે તો હું તેના માટે
તૈયાર છું. ત્રિપુરામાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને બિપ્લબ કુમાર
દેવના રાજીનામાને રાજ્યમાં બીજેપીના વધુ એક પ્રયોગ તરીકે જોવામાં આવી રહ્યો છે.
ભાજપે ગુજરાત, કર્ણાટક અને ઉત્તરાખંડમાં ચૂંટણી
પહેલા સીએમ બદલવાનો પ્રયોગ કર્યો છે.