અમદાવાદ સિવિલ હોસ્પિટલ સલામતી સિક્યોરિટી એજન્સી વિજિલન્સની રડારમાં! ટેન્ડરીંગ પ્રક્રિયા માં ગેરરીતિની ફરિયાદ
સિવિલ હોસ્પિટલ અને વિવાદ જાણે એક બીજાનો પર્યાય બની ગયા છે. સમયાતંરે ભ્રષ્ટાચારના મામલાઓ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક ભ્રષ્ટાચારના આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે. સિવિલ હોસ્પિટલમાં આવતા હજારો દર્દીઓ, દર્દીઓના સગા અને હોસ્પિટલ સ્ટાફની સુરક્ષા માટે રાખવામાં આવેલ સિક્યોરિટી એજન્સી સલામતી સિક્યુરિટી પર્સનલ ફોર્સ પ્રાઇવેટ લિમિટેડનો મસમોટો ભ્રષ્ટાચારના આક્ષેપ થી ગુજરાત સરકારના તકેદારી આયોગ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામા આવ્યા છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા રાકેશભાઈ કનોજીયા આક્ષેપ કર્યા છે કે સિવિલ હોસ્પિટલમાં ગુજરાત સરકારની તિજોરીને આર્થિક નુકસાન કરી પોતાના આર્થીક લાભ માટે સ્કેન્ડલ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં RMO કક્ષાના બે અધિકારીઓ દ્વારા સલામતી સિક્યુરિટી પર્સનલ ફોર્સ પ્રાઈવેટ લીમીટેડને ફાયદો અપાવવા ગેરરીતિ આચર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ અધિકારીઓ દ્વારા વર્ષ 2018થી સરકારના તમામ નીતિ નિયમો નેવે મૂકીને સલામતી સિક્યુરિટી પર્સનલ ફોર્સ પ્રા.લિ. એજન્સીને ટેન્ડર બહાર પાડ્યા વગર વિના ટેન્ડરે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે વર્ક ઓર્ડર બનાવી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે આજદિન સુધી ચાલુ સ્થીતીમાં છે અને એજન્સીના માલિક પાસેથી દર મહીને લાખો રૂપિયાની લાંચ લઈ કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવી રહ્યો છે.