આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં ધૂમ મચાવવા તૈયાર, કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદમાં કરશે રોડ શો
આમ આદમી પાર્ટી ગુજરાતમાં પંજાબના
પ્રદર્શનની કોપી કરવાનો પ્રયાસ કરી રહી છે. હવે પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ
કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુજરાતની મુલાકાત લેવાનું નક્કી
કર્યું છે. બંને નેતાઓ 2 એપ્રિલે અમદાવાદમાં રોડ શો કરી શકે
છે. ખાસ વાત એ છે કે ગયા વર્ષે યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં AAPએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સુરત મહાનગર પાલિકામાં વિપક્ષ
તરીકે ઉભરી હતી. ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. મળતી માહિતી મુજબ ગુજરાતના AAPના વરિષ્ઠ નેતા ઇસુદાન ગઢવીએ નિવેદન આપતા કહ્યું કે, અરવિંદ જી હવે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આગામી દિવસોમાં
તેઓ મહિનામાં બેથી ત્રણ વખત રાજ્યની મુલાકાત લઈ શકે છે. ગઢવીના કહેવા પ્રમાણે પાર્ટીએ 52 હજારમાંથી 32 હજાર બૂથના પ્રભારીઓની નિમણૂક કરી
દીધી છે.
ગુજરાતમાં AAPના ગ્રાફમાં થયેલા વધારાને કોંગ્રેસની ખોટ સાથે જોડવામાં આવી રહી છે.
AAPના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે કોંગ્રેસે
વર્ષ 2017માં આ તક ગુમાવી હતી. તેમનું કહેવું છે
કે તે દરમિયાન કોંગ્રેસ પાટીદાર આંદોલનની લહેર પર સવાર હતી અને 25 વર્ષમાં પહેલીવાર કોઈ મોટા આંકડાને સ્પર્શી હતી. તેની અસર ગુજરાતમાં
182 બેઠકો ધરાવતા ભાજપની બેઠકો પર પણ પડી. પરંતુ પરિણામો આંદોલનનું પરિણામ હતું અને કોંગ્રેસે પોતે ભાજપની હાર
સુનિશ્ચિત કરવા માટે કંઈ કર્યું નથી. આ દરમિયાન તેમણે કોંગ્રેસના
ધારાસભ્યોને પાર્ટી છોડવા તરફ ઈશારો કર્યો હતો. અહીં કોંગ્રેસના વધુ 10 ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલુ છે. રાજસ્થાનના અપક્ષ
ધારાસભ્યે આ મામલે કોંગ્રેસના ટોચના નેતૃત્વને એલર્ટ કરી દીધું છે.
એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, છેલ્લા 8 મહિનામાં અમે જિલ્લા, બ્લોક અને ગ્રામ્ય સ્તરે સમિતિઓની રચના કરી છે અને અંતે 138 વિધાનસભા પ્રભારીઓની નિમણૂક કરી છે, જેમને પહેલેથી જ તાલીમ આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે પંજાબમાં જીત
બાદ જ અમદાવાદમાં પણ પાર્ટીના પોસ્ટર દેખાવા લાગ્યા હતા. જાણકારોનું માનવું છે કે
પક્ષના નેતાઓ ટૂંક સમયમાં અમદાવાદ પહોંચશે અને પ્રચાર પ્રક્રિયાને વેગ આપશે.