આ સ્થળ પર રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝ, ECBએ આપી આ ખાસ ઓફર
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણી (Test series)નું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ બંને ટીમો લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. ચાહકો આ બંને ટીમો વચ્ચેની મેચ ક્યાંતો ICCઇવેન્ટમાં અથવા એશિયા કપમાં જોવા મળે છે.છેલ્લીવખત ભારત (india)અને પાકિસ્તાન(Pakistan)વચ્ચે 2013માં દ્વિપક્ષીય શ્રેણી રમાઈ હતી, પરંતુ ત્યારથી તે બન્યું નથી.
બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો સારા નથી અને તેથી જ બંને ટીમો એકબીજાના દેશની મુલાકાત લેતા નથી. આવી સ્થિતિમાં, ECBએ આ બંને ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અંગ્રેજી અખબાર ધ ટેલિગ્રાફે પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે.
ECBએ PCB સાથે વાત કરી
ટેલિગ્રાફના અહેવાલ મુજબ, ECBના ઉપાધ્યક્ષ માર્ટિન ડાર્લોએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથે વાત કરી હતી. આ વાતચીત ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્તમાન T20 શ્રેણીમાં થઈ છે. તેણે ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડના મેદાનનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ECB ને પણ ફાયદો થશે
જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય છે ત્યારે સ્ટેડિયમો ખીચોખીચ ભરાઈ જાય છે. તાજેતરમાં, યુનાઇટેડ આરબ અમીરાતમાં રમાયેલા એશિયા કપ 2022માં આ જોવા મળ્યું હતું. ECBએ પણ આ પ્રસ્તાવ એ અર્થમાં કર્યો છે કે આ મેચો તેના સ્ટેડિયમમાં દર્શકોને લાવશે. કોઈપણ રીતે, ઈંગ્લેન્ડમાં ભારત અને પાકિસ્તાનના લોકોની સારી એવી સંખ્યા છે.
પાકિસ્તાની ખેલાડીઓ IPLમાં રમતા નથી
પાકિસ્તાનની ટીમ 2013માં ભારતના પ્રવાસે આવી હતી. આ પ્રવાસમાં તેણે ત્રણ મેચની વનડે શ્રેણી રમી જેમાં ભારત 1-2થી હારી ગયું. આ સાથે બે T20 મેચ પણ રમાઈ હતી જેમાં એક મેચમાં ભારત અને બીજી મેચમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) શરૂ થઈ ત્યારે પાકિસ્તાની ખેલાડીઓ આ લીગમાં રમતા હતા, પરંતુ તે પછી પાકિસ્તાની ખેલાડીઓને ઈન્ડિયન લીગમાં રમવાની મંજૂરી આપવામાં આવી ન હતી.