ઝાડેશ્વર ચોકડી ઉપર લમ્પીગ્રસ્ત ગાય હોવાની સ્થાનિકે જાણ કરી, તબીબો રસીકરણ કરી દેખરેખ માટે અલગ રાખવા લઇ ગયા
ગુજરાતભરમાં હાલ દુધાળા પશુઓમાં લમ્પી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ભરૂચમાં પણ હવે પશુમાં આ વાયરસે દેખાદીધી હોવાનો પ્રથમ કિસ્સો સામે આવતા તંત્રની ચિંતા વધી ગઈ છે.
પશુ પાલકે 1962 નંબર પર જાણ કરી
સમગ્ર ગુજરાત અને એમાંય સૌરાષ્ટ્રમાં દિન પ્રતિદિન આ લમ્પી વાયરસના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે અને અન્ય પશુઓ આ વાયરસથી સંક્રમિત પણ થઈ રહ્યા છે. હાલ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ રોગ દેખાતો હતો પણ આજે ભરૂચના ઝાડેશ્વર ચોકડી પર રખડતા પશુઓમાં પણ એક આવો લમ્પી વાયરસ ગાયમાં દેખાતા જેની જાણ ભરૂચના યદુવંશી ગૌસેવા સમિતિના વિક્રમ ભરવાડને કરતા તેઓ દાનુ ભરવાડ, ગણપતભાઈ રબારી અને અજય રબારી સહિતની ટીમોએ 1962 નંબર પર જાણ કરી હતી.
સર્વે તેજ કરાયો
એનિમલ હેલ્પલાઇનની કરુના એમ્બ્યુલન્સ પાયલોટિંગ હિંમતભાઈ અને ડોક્ટર નિરવ પટેલ સાથે તાત્કાલિક ઝાડેશ્વર ચોકડી ખાતે દોડી આવી હતી. ગાયમાં રહેલા લમ્પી વાયરસના લક્ષણ સાથે તેને રસીકરણ કરી દેખરેખ માટે અલગ રાખવામા આવી હતી. સાથે તંત્ર અન્ય પશુઓમાં પણ આ વાયરસના લક્ષણો અંગે હવે તપાસ અને સર્વે તેજ બનાવી દીધો છે.