2000 યુક્રેનિયન સૈનિકોએ આત્મસમર્પણ કર્યું, રશિયન સંરક્ષણ પ્રધાને દાવો કર્યો
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 3 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે.
રશિયા કોઈપણ સંજોગે યુક્રેન પર પ્રભુત્વ જમાવવા માંગે છે. તો બીજી તરફ યુક્રેન હાર
માનવા તૈયાર નથી. યુક્રેન પર હજુ પણ રશિયાના આક્રમક હુમલાઓ ચાલુ છે. યુક્રેનને
રશિયાએ ખંઢેરમાં ફેરવી નાખ્યું છે. આ યુદ્ધમાં અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે
હાલમાં રશિયાના સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે મેરીયુપોલમાં અઝોવસ્ટલ
સ્ટીલવર્ક્સમાં છુપાયેલા લગભગ 2,000 યુક્રેનિયન સૈનિકોએ અત્યાર સુધીમાં આત્મસમર્પણ કર્યું છે. રશિયન
રાજ્ય મીડિયા તાસે આ અહેવાલ આપ્યો છે. જો કે, સમાચાર એજન્સી રોઇટર્સે કહ્યું કે તે સ્વતંત્ર રીતે અહેવાલની
ચકાસણી કરી શકી નથી. અહેવાલો સૂચવે છે કે સેંકડો યુક્રેનિયન લડવૈયાઓએ અત્યાર
સુધીમાં રશિયન દળોને આત્મસમર્પણ કર્યું છે, જો કે મોસ્કો અને કિવએ સંખ્યાઓ પર જુદા જુદા અંદાજો આપ્યા છે. પૂર્વી
યુક્રેનમાં સ્થિત ડોનિસ્ક અને લુહાન્સ્કમાં રશિયન અને યુક્રેનિયન સેનાઓ વચ્ચે લડાઈ
ચાલુ છે. સ્વ્યારોડોન્સ્ક શહેરને કબજે કરવા માટે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન
ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા છે અને ત્રણ ઘાયલ થયા છે.
યુક્રેને સ્પષ્ટ કર્યું છે કે જ્યારે રશિયન સૈન્ય યુક્રેનમાંથી
સંપૂર્ણ રીતે હટી જવા માટે તૈયાર હશે ત્યારે તે રશિયા તરફથી આવનારી યુદ્ધવિરામની
ઓફરને સ્વીકારશે. ટેન્ક આર્મીના વડા, લેફ્ટનન્ટ જનરલ સેરહી કિસેલને રશિયામાં ખાર્કિવને કબજે કરવામાં
નિષ્ફળ રહેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાળા સમુદ્રમાં નેવલ ઓપરેશનના વડા
વાઈસ એડમિરલ ઈગોર ઓસિપોવ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. કાળા સમુદ્રમાં
મુસ્કાવા યુદ્ધ જહાજના હુમલાનો ભોગ બનવાના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.