ચરિત્રની શંકાએ કુટુંબનો માળો પિંખાયો, 2 પુત્રોની ઝેર આપી હત્યા કરનાર પાશવી પિતાએ સબજેલમાં ગળાફાંસો ખાધો
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
ગોંડલના વોરાકોટડા રોડ આવાસ ક્વાર્ટરમાં રહેતા પતિએ પત્નિના ચારિત્ર્ય પર શંકા કરી પોતાના 2 પુત્રો પોતાના નથી તેવી માનસિક વિકૃતિ સાથે ઝેર પાઇ બન્નેની હત્યા કર્યા બાદ જેલ હવાલે રહેલા પિતાએ પ્રાયશ્રિતનો ભાર જીરવાયો ના હોય તેમ સબજેલના ટોઇલેટમાં ગળાફાંસો ખાઈ જીંદગીનો અંત આણતા સબજેલમાં દોડધામ મચી ગઈ હતી.
વહેલી સવારે બનેલા બનાવ બાદ સબજેલના જેલર, પોલીસ તથા ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં બનાવ અંગે જરૂરી કાર્યવાહી કરી ફોરેન્સિક PM માટે મૃતદેહને રાજકોટ ખસેડાયો હતો.પતિ પત્નિના દાંપત્ય જીવનમાં જ્યારે શંકા ઘર કરે ત્યારે તેનો અંજામ કરુણ હોય તે વાતને યથાર્થ ઠેરવતા બનાવની પ્રાપ્ત વિગત મુજબ વોરાકોટડા રોડ આવાસ ક્વાર્ટરમાં રહેતા અને સેન્ટીંગ કામની મજુરી કરતા રાજેશભાઈ પ્રેમજીભાઇ મકવાણાએ ગત શનિવારે પોતાના 13 અને 3 વર્ષના બે પુત્રોને પાણીમાં ઝેર ભેળવી પાઇ દઇ હત્યા નિપજાવી હતી. દરગાહમાં ન્યાઝનું જમણ જ્મ્યા બાદ બન્ને પુત્રોને ઝેરી અસર થયાની ખોટી સ્ટોરી ઉભી કરનાર રાજેશભાઈની પોલીસની આકરી પુછપરછમાં પોલ છતી થઈ જતા પોલીસે તેની ધરપકડ કરી સબજેલ હવાલે કર્યો હતો. સબજેલની બેરેક નં.1 માં રહેલા હત્યારા પિતા રાજેશે આજે વહેલી સવારે 6.30 કલાકે બેરેકના ટોઇલેટમાં બારીના સળીયા સાથે ઓઢવા આપેલી ચાદર વડે ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ જેલર રાજેન્દ્રસિંહ સોલંકીને થતા તેમણે ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલ, પીઆઇ. ડામોરને જાણ કરતા તંત્ર સબજેલ દોડી જઇ મૃતદેહ ને ફોરેન્સિક PM માટે રાજકોટ ખસેડ્યો હતો.
રાજેશ મકવાણા પત્નિ પર ચારિત્ર્ય અંગે શંકા કુશંકા કરતો હોય બન્ને વચ્ચે વારંવાર જગડા થતા હતા. આખરે બન્નેએ છુટા પડવાનું નક્કી કરી પંદર દિવસ પહેલા છુટાછેડા લીધા હતા. છુટાછેડા બાદ બે પુત્રો હરેશ ઉ.13 તથા રાહુલ ઉ.3 ને રાજેશે પોતાની પાસે રાખ્યા હતા.પત્નિ પર ચારિત્ર્યના આક્ષેપ કરનારા રાજેશ ને બન્ને પુત્રો પોતાના નથી તેવી શંકા રહ્યા કરતી હોય આખરે પાણીમાં ઝેર નાખી બન્ને પુત્રોની હત્યા કરી હતી. રાજેશ ગોંડલ હાજી મુશાબાવાની દરગાહ મા શ્રધ્ધા ધરાવતો હોય અવારનવાર દરગાહે જતો અને બન્ને પુત્રોને પણ સાથે લઈ જતો હતો. જે દિવસે બન્ને પુત્રોને ઝેર પાયુ ત્યારે પોલીસને એવી કેફીયત આપી હતી કે દરગાહમાં ન્યાઝના જમણ બાદ બન્ને બાળકોને ઝેરી અસરથી ઉલ્ટીઓ થઇ હતી અને મોત નિપજ્યા હતા.પરંતુ ન્યાઝનું ભોજન કરનારા અન્ય લોકોને કોઈ તકલીફ થઈ ના હોય તપાસનીશ ડીવાયએસપી ઝાલા,પીઆઇ ડામોર, પીઆઇ ગોસાઇ સહિત પોલીસને રાજેશની કેફીયત શંકાસ્પદ જણાતા આકરી પુછપરછ કરતા દરગાહેથી ઘરે જઈ 'આ ફાકી ખાઇલ્યો' તેવુ કહી ઝેરની પડીકી પાણીમાં નાખી બન્ને બાળકોને પીવડાવી દીધી હોવાની કબુલાત આપી હતી.
મુળ અમરેલીના વડીયાનો વતની રાજેશ મકવાણા અગાઉ રાજકોટ કોઠારીયા રહેતો હતો અને છેલ્લા પાંચ વર્ષથી ગોંડલ રહી મજુરીકામ કરતો હતો. તેના લગ્ન પંદર વર્ષ પહેલા કોડીનારના અલીદરબોલીદર ગામની હીરલબેન સાથે થયા હતા અને સંતાનમાં બે પુત્રો હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે