ફોકલેન્ડ વિવાદ ઉકેલવા માટે આર્જેન્ટિનાએ ભારત પાસે માંગી મદદ, વૈશ્વિક સ્તરે ભારતનું મહત્વ વધ્યું
દક્ષિણ અમેરિકન દેશ આર્જેન્ટિનાએ
ફોકલેન્ડ ટાપુઓના મુદ્દાને ઉકેલવા માટે ભારતની મદદ માંગી છે. આર્જેન્ટિના ઈચ્છે છે
કે ભારત આ વિવાદ અંગે બ્રિટન સાથે વાતચીત કરે. આર્જેન્ટિના અને બ્રિટન વચ્ચે
ફોકલેન્ડ ટાપુઓ પર લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બ્રિટન હાલમાં ફોકલેન્ડ ટાપુઓ
પર કબજાનો દાવો કરે છે. તો સાથે સાથે આર્જેન્ટિના પણ તેના પર દાવો કરે છે. જેને તે લોસ
માલવિનાસ કહે છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનની ભારત મુલાકાત બાદ
આર્જેન્ટિનાના વિદેશ પ્રધાન સેન્ટિયાગો કેફિરો નવી દિલ્હી પહોંચ્યા છે. તેમની
મુલાકાતનો હેતુ ભારતને ફોકલેન્ડ ટાપુઓના વિવાદને ઉકેલવા માટે બ્રિટન સાથે વાતચીત
કરવાની માંગ કરવાનો છે.
આર્જેન્ટિનાના વિદેશ મંત્રી
સેન્ટિયાગો કેફિરો નવી દિલ્હીમાં યોજાનાર રાયસિના ડાયલોગમાં ભાગ લેશે. ભારતીય
વિદેશ મંત્રાલયે કહ્યું કે કેફિરો વાર્ષિક રાયસિના સંવાદમાં ભાગ લેવા માટે
નિર્ધારિત અગ્રણી આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓમાંના એક છે. તેઓ ભારતમાં માલવિનાસ
ટાપુઓના પ્રશ્ન પર ધી કમિશન ફોર ધ ડાયલોગ નામનું કમિશન લોન્ચ કરશે. આ કમિશનના
લોન્ચિંગમાં ભાજપ અને કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ ભાગ લેશે.ધ ગાર્ડિયનમાં 2 એપ્રિલના રોજ
પ્રકાશિત થયેલા એક લેખમાં કેફિએરોએ દાવો કર્યો હતો કે 1982માં દુશ્મનાવટ બંધ થવા સાથે વિવાદ ઉકેલાયો ન હતો. તેથી તેમણે દ્વિપક્ષીય ચર્ચા
ફરી શરૂ કરવા વિનંતી કરી છે. આર્જેન્ટિના દાવો કરે છે કે ફૉકલેન્ડ ટાપુઓ જેવા
પ્રાદેશિક વિવાદ મોટો સંઘર્ષ કરી શકે છે. જો કે આ વિવાદ એવો કોઈ મોટો વિવાદ નથી. તેના
સમર્થકો દાવો કરે છે કે કમિશન યુએનના ઠરાવો અને માલવિનાસ ટાપુઓના પ્રશ્ન પર અન્ય
આંતરરાષ્ટ્રીય મંચોની ઘોષણાઓના પાલનને પ્રોત્સાહન આપશે.
આર્જેન્ટિનાએ
લાંબા સમયથી ફોકલેન્ડ ટાપુઓ પર દાવો કર્યો છે. ફોકલેન્ડની શોધ યુરોપિયનો દ્વારા
કરવામાં આવી હતી. ત્યારબાદ તે ઘણા દેશોની વસાહત બની ગઈ હતી. પરંતુ 1833 માં
બ્રિટને આ દ્વીપસમૂહ પર ફરીથી કબજો કર્યો. ફોકલેન્ડ ટાપુઓ પર બ્રિટન અને
આર્જેન્ટિના વચ્ચે 1982માં યુદ્ધ પણ થયું હતું. જે બાદ બ્રિટને આર્જેન્ટિના
સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા અને ભવિષ્યમાં આ મુદ્દે ચર્ચા નહીં કરવાની
પ્રતિજ્ઞા લીધી હતી. પરંતુ હવે આર્જેન્ટિના ભારતને વચ્ચે રાખીને બ્રિટન સાથેનો આ
વિવાદ શાંતિપૂર્ણ રીતે હલ કરવા માંગે છે.