મહારાષ્ટ્ર સરકારમાં ફરી ઘમાસાણ, કોંગ્રેસ નેતા NCPને લઈને આપી દીધું ચોંકાવનારૂં નિવેદન
મહારાષ્ટ્રમાં
છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યા છે. લાઉડસ્પીકર હોય કે પછી હનુમાન ચાલીસા વિવાદ
હોય. એક પછી એક વિવાદે મહારાષ્ટ્ર સરકારની ઉંઘ હરામ કરી દીધી છે. તો બીજી તરફ મહારાષ્ટ્રની
મહા વિકાસ આઘાડી સરકારમાં બધુ બરાબર નથી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ
ફરી એકવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પર પાર્ટીને નબળી કરવાનો આરોપ લગાવ્યો છે.
આ અંગે તેમણે પાર્ટી હાઈકમાન્ડને પણ જાણ કરી હોવાનું જાણવા મળે છે. પટોલે અગાઉ પણ
એનસીપી પર કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવી ચૂક્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ પટોલેએ કહ્યું છે કે તેમણે ઉદયપુરમાં આયોજિત ચિંતન શિબિર દરમિયાન
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોંગ્રેસને નબળી પાડવા માટે NCPની પ્રવૃત્તિઓ વિશે જાણ કરી હતી. ગયા અઠવાડિયે તેમણે કહ્યું હતું કે NCPએ ગોંદિયા અને ભંડારા જિલ્લા પરિષદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી
સાથે જઈને તેમની પાર્ટીને દગો આપ્યો છે.
મળતી માહિતી મુજબ જ્યારે MVA
સરકાર ચાલુ રાખવા વિશે પૂછવામાં
આવ્યું ત્યારે પટોલેએ કહ્યું કે કંઈપણ થઈ શકે છે. તેમણે કહ્યું કે છેલ્લાં અઢી
વર્ષમાં NCPએ રાજ્યમાંથી કોંગ્રેસનો સફાયો કરવા
માટે તમામ શક્ય પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે હવે આ મહાઅઘાડી સરકારમાં કંઈ પણ
થઈ શકે છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડે નિર્ણય લેવાનો છે. પટોલેએ સોમવારે પણ NCP પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે
કહ્યું કે એનસીપીએ કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે. પછી તે ગોંદિયા અને ભંડારા જિલ્લા પરિષદની ચૂંટણી હોય. અમરાવતી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને ભિવંડી મ્યુનિસિપલ
કોર્પોરેશનની ચૂંટણી હોય કે પછી ભંડોળની વહેંચણી હોય. તેમણે કહ્યું, “મેં ભંડારા અને ગોંદિયા જિલ્લા પરિષદની ચૂંટણીમાં NCP પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ અને NCP નેતા પ્રફુલ્લ પટેલ સાથે વાત કરી હતી, પરંતુ કોઈ સહકાર મળ્યો નહોતો. તેના બદલે એનસીપીએ ભાજપ સાથે હાથ
મિલાવ્યા હતા.
તેમણે કહ્યું કે 2019ની વિધાનસભા ચૂંટણી પછી જ્યારે સ્પષ્ટ થયું કે ભાજપ એકમાત્ર સૌથી મોટી પાર્ટી હોવા છતાં સરકાર બનાવી શકશે નહીં ત્યારે કોંગ્રેસ, NCP અને શિવસેનાએ સરકાર બનાવવા માટે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસના નેતાએ કહ્યું, હાઈકમાન્ડ સરકાર બનાવવા માટે સંમત થયા કારણ કે તેમનો સૌથી મોટો
ઉદ્દેશ્ય ભાજપને સત્તાથી દૂર રાખવાનો હતો. સરકારની રચના પહેલા કોમન મિનિમમ
પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો હતો. હવે અમને ખબર પડી છે કે કાર્યક્રમ સમાપ્ત થઈ
ગયો છે અને એનસીપીએ તેની પોતાની ફોર્મ્યુલા લાગુ કરી છે. આ એક અસ્વીકાર્ય સ્થિતિ
છે. અમે કાર્યક્રમના અમલની માંગણી કરીએ છીએ. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં NCPએ કોંગ્રેસના ઘણા મોટા કાર્યકરોને પોતાના હિસ્સામાં લીધા છે.