Yamuna Floods : યમુનાનું પાણી તાજમહેલ સુધી પહોંચ્યું, કૂલ્લુમાં ફરી આભ ફાટ્યું
ઉત્તર ભારતમાં એક તરફ અવિરત વરસાદ અને બીજી તરફ નદીઓના જળસ્તર વધવાને કારણે સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ પર્વતોમાં ફરી એકવાર ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આગ્રામાં યમુના નદી રવિવારે સવારે ખતરાના નિશાનને પાર કરી ગઈ. 45 વર્ષ પછી યમુનાનું પાણી તાજમહેલની દીવાલને સ્પર્શ્યું હતું.
દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં ઘટાડો
દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર નીચે આવ્યું છે, પરંતુ તે હજુ પણ ખતરાના નિશાન (205.33 મીટર)થી ઉપર વહી રહ્યું છે. ગઢમુક્તેશ્વરમાં પણ ગંગાનું જળસ્તર 13 વર્ષ પછી પીળા નિશાનથી ઉપર છે. બ્રજઘાટમાં ગંગાનું પાણી આરતી સ્થળની નજીકના સીડીઓ પાસે પહોંચી ગયું છે. હિમાચલ પ્રદેશમાં પણ રવિવારે અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે
હવામાન વિભાગની તાજેતરની આગાહીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ દરમિયાન કેટલાક સ્થળોએ વાદળ ફાટવા અને અચાનક પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હીમાં પણ ત્રણ દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી છે.
કૂલ્લુમાં ફરી આભ ફાટ્યું, 1નું મોત, મકાન-ગાડીઓ વહી ગઈ
કૂલ્લુના કાઈસ ગામમાં આભ ફાટવાની ઘટનાથી ફરી એકાએક પૂર આવી ગયું હતું. અહીં એકનું મોત નીપજ્યું જ્યારે બે ઘવાયા હતા. આભ ફાટવાની ઘટનાને લીધે અનેક દુકાનો વહી ગઈ હતી. ડે.કમિશનર આશુતોષ ગર્ગે કહ્યું કે લગભગ રાતે ત્રણ વાગ્યે કાઈસ ક્ષેત્રની નજીક આભ ફાટવાની માહિતી મળી હતી.
આ પણ વાંચો-હિમાચલમાં વાદળ ફાટ્યું તો ગંગામાં આવ્યું ભારે પૂર…!