Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છના કંડલામાં ઇફકો ખાતે વિશ્વના પ્રથમ નેનો ડી.એ.પી. (પ્રવાહી) પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ

અહેવાલ---રાકેશ કોટવાલ, ગાંધીધામ  કેન્દ્રીય ગૃહમંત્રી તથા સહકાર મંત્રીશ્રી અમિત શાહે (Amit Shah) આજે ગાંધીધામ-કંડલામાં ઇફ્કો (IFFCO) ખાતે ૩૫૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા વિશ્વના પ્રથમ નેનો ડી.એ.પી. (પ્રવાહી) પ્લાન્ટ (Nano DAP)નો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સહકારી...
કચ્છના કંડલામાં ઇફકો ખાતે વિશ્વના પ્રથમ નેનો ડી એ પી   પ્રવાહી  પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ
અહેવાલ---રાકેશ કોટવાલ, ગાંધીધામ 
કેન્દ્રીય ગૃહમંત્રી તથા સહકાર મંત્રીશ્રી અમિત શાહે (Amit Shah) આજે ગાંધીધામ-કંડલામાં ઇફ્કો (IFFCO) ખાતે ૩૫૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા વિશ્વના પ્રથમ નેનો ડી.એ.પી. (પ્રવાહી) પ્લાન્ટ (Nano DAP)નો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સહકારી ક્ષેત્રે (cooperative sector) જોડાયેલા ખેડૂતોને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાં સહકારના માધ્યમથી ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના નિર્ધાર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય સાથે નવી હરિયાળી ક્રાંતિ શરૂ થઈ છે. જ્યારે પેક્સના માધ્યમથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા આગામી પાંચ વર્ષમાં નવા ૩ લાખ પેક્સ (પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી) બનાવવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.
નવા પ્રવાહી ખાતરથી અનેકવિધ ફાયદા ખેડૂતો તથા ખેતી ક્ષેત્રને થશે
ઈફકો પરિસરમાં નેનો ડી.એ.પી. (પ્રવાહી)  પ્લાન્ટનો શિલાન્યાસ કર્યા બાદ કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારિતા મંત્રાલય બનાવ્યા પછી દેશના ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો જે લક્ષ્યાંક રાખ્યો છે, તેમાં આજે ઈફકો પણ આ પ્લાન્ટના માધ્યમથી જોડાયું છે. ઈફકોના નવા પ્રવાહી ખાતરથી અનેકવિધ ફાયદા ખેડૂતો તથા ખેતી ક્ષેત્રને થશે. તેનાથી ધરતી માતા સુરક્ષિત થશે, જમીનમાં કેમિકલ અને ઝેર નહીં ભળે, ખેડૂતો સામે આજે જમીનને ફળદ્રુપ રાખવાનો જે પડકાર છે, તેમાંથી મુક્તિ મળશે. નેનો ડી.એ.પી. જમીનમાં નથી ઉતરતું, માત્ર છોડમાં જ રહે છે. તેનાથી પાણી પણ પ્રદૂષિત નહીં થાય, ઉત્પાદન વધશે. વળી, તેનો ભાવ ઓછો હોવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે. તેનાથી કેન્દ્ર સરકાર પર સબસિડીનો બોજ ઘટશે, યુરિયા ખાતરની આયાત ઘટશે અને ભારતને કૃષિ તથા ખાતર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લક્ષ્ય છે, તેમાં મદદ મળશે.
નવી હરિયાળી ક્રાંતિના બીજ રોપાયા
માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં નેનો ખાતરના ઉત્પાદનની ઈફકોની પહેલને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, આજે દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપવાની સાથે નવી હરિયાળી ક્રાંતિના બીજ રોપાયા છે.  દેશભરના વૈજ્ઞાનિકો, કૃષિ વૈજ્ઞાનિકોના સંશોધન, ખેડૂતોની મહેનત તેમજ વડાપ્રધાન મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત દેશ આજે અનાજ ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો છે.
નવી હરિયાળી ક્રાંતિના ત્રણ લક્ષ્યો
નવી હરિયાળી ક્રાંતિના ત્રણ લક્ષ્યો અંગે તેમણે જણાવ્યું હતું કે, એક, માત્ર ઘઉં-ચોખા જ નહીં પરંતુ ખાદ્યાન્નના તમામ ક્ષેત્રોના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવું. બીજું, ખેડૂતનું પ્રતિ એકર ઉત્પાદન વધારવું તથા જમીનનું સંરક્ષણ કરવું. ત્રીજું, પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોની નિકાસથી ખેડૂતોના ઘર સુધી સમૃદ્ધિ લાવવી.
સહકારના માધ્યમથી સમૃદ્ધિનું લક્ષ્ય સાર્થક થશે
ઉપરાંત દેશને કૃષિક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા સહકારી મંત્રાલયે ત્રણ મલ્ટી સ્ટેટ સહકારી સોસાયટીઓની રચના કરી છે, એમ જણાવતા શ્રી શાહે કહ્યું હતું કે, એક મલ્ટિસ્ટેટ સોસાયટી બીજ પ્રમાણિકરણ તથા સંવર્ધન માટે કામ કરશે. બીજી સોસાયટી ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રોડક્ટસનું સર્ટીફિકેશન તથા માર્કેટિંગ માટે કામ કરશે. જ્યારે ત્રીજી સોસાયટી નાનામાં નાના ખેડૂતના ઉત્પાદનોને વિશ્વના માર્કેટમાં પહોંચાડવાના ક્ષેત્રે કામ કરશે. જેનો સીધો નફો ખેડૂતોને મળશે. આમ સહકારના માધ્યમથી સમૃદ્ધિનું લક્ષ્ય સાર્થક થશે.
પેક્સમાં કૃષિ પેદાશોને સ્ટોરેજની નવી સિસ્ટમ ઊભી કરવામાં આવશે
કેન્દ્રીય મંત્રીશ્રીએ સહકારી ક્ષેત્રને વધુ મજબૂત અને સંગઠિત કરવા માટે સહકાર મંત્રાલય દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટી એટલે કે પેક્સના બાયલોઝમાં સુધારો કરીને મલ્ટિડાયમેન્શનલ બાયલોઝ બનાવ્યા છે. પેક્સ હેઠળ હવે પેટ્રોલ પંપ, દવાની દુકાન, સસ્તા અનાજની દુકાન, ડેરી, માછીમાર સમિતિ, બેન્કિંગ સહિતના વિવિધ આયામોને આવરી લેવામાં આવ્યા છે. તેમણે ખુશી સાથે ૧૫ હજાર પેક્સ સી.એસ.સી. (કોમન સર્વિસ સેન્ટર) બન્યા હોવાનું આ તકે જણાવ્યું હતું. આ સાથે આવનારા પાંચ વર્ષમાં ૩ લાખ નવા પેક્સ રજિસ્ટર કરી કૃષિ ક્ષેત્રને મજબૂતીની નવી ઊંચાઈ આપવામાં આવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ સાથે પેક્સમાં કૃષિ પેદાશોને સ્ટોરેજની નવી સિસ્ટમ ઊભી કરવામાં આવશે. જેનાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચી જશે. જેનો સીધો ફાયદો કિસાનોનો થશે તેમ કેન્દ્રીય સહકાર મંત્રીશ્રી અમિત શાહે જણાવ્યું હતું.
એક વર્ષમાં ત્રણ તબક્કામાં પ્રોડક્શન યુનિટ શરૂ થઈ જશે
કેન્દ્રીય મંત્રીએ રૂ. ૩૫૦ કરોડના ખર્ચે ઇફ્કોના નિર્માણ થનાર પ્લાન્ટ અંગે વિગતે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી એક વર્ષમાં ત્રણ તબક્કામાં પ્રોડક્શન યુનિટ શરૂ થઈ જશે. આ યુનિટમાં ૫૦૦ એમ.એલ.ની બે લાખ બોટલ પ્રતિદિન ઉત્પાદિત થશે. વર્ષે છ કરોડ નેનો ડી.એ.પી. બોટલના ઉત્પાદનથી છ કરોડ ડી.એ.પી ખાતરની બોરીઓની આયાત નિવારી શકાશે અને ખાતર ઉપર સરકાર દ્વારા અપાતી ૧૦ હજાર કરોડની સબસિડીનો બોજ પણ ઘટશે. જો કે આ સબસિડીથી બચેલી રકમ આખરે ખેડૂતો માટે જ ઉપયોગમાં લેવાશે. આજે સહકારી ક્ષેત્ર ખાતર વેચાણમાં મજબૂત સ્તંભ બનીને ઊભો છે. નેનો ડી.એ.પી.ના ઉત્પાદનથી તે વધુ શક્તિશાળી બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.
 ભારતનું નામ સમગ્ર વિશ્વમાં ફર્ટિલાઇઝર ક્ષેત્રે રોશન 
ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રાસંગિક પ્રવચનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઇ શાહ દ્વારા ઇફકો સહિત સહકારી ક્ષેત્રને આપવામાં આવેલા સહયોગની સરાહના કરી હતી. ઇફકો દ્વારા ઉત્પાદિત થનાર નેનો ડી.એ.પી. થકી ભારતનું નામ સમગ્ર વિશ્વમાં ફર્ટિલાઇઝર ક્ષેત્રે રોશન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. સહકારથી સમૃદ્ધિ માત્ર સ્લોગન નથી પરંતુ તેને સાર્થક કરવા માટે સહકારી ક્ષેત્રમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા અથાગ પ્રયત્નોની તેમણે આ તકે વાત કરી હતી. ઇફકો દ્વારા ભૂકંપ, વાવાઝોડું કે કોરોના સહિત કુદરતી આફતો ઉપરાંત સામાજિક ક્ષેત્રે કરવામાં આવતી મદદનો પણ આ તકે ખાસ ઉલ્લેખ કરી ઇફકોની કામગીરી બિરદાવી હતી.
ખેડૂતોની સમૃદ્ધિ વધશે
ગુજરાતના સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશની નવી હરિતક્રાંતિની દિશામાં નેનો પ્રવાહી ડી.એ.પી.નું ઉત્પાદનએ મોટું પગલું સહકારિતાના માધ્યમથી લેવાઈ રહ્યું છે. તેનાથી ખેડૂતોની સમૃદ્ધિ વધશે, જમીનને નુકસાન પહોંચતું અટકશે. તેમણે આવનારા દિવસોમાં કૃષિ ક્ષેત્રની નેનો ટેકનોલોજીની વિશ્વમાં નિકાસ કરીશું તેમજ ગુજરાત સહકારિતા ક્ષેત્રે દેશભરમાં મોડેલ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ઈફકોના મેનેજિંગ ડિરેક્ટરશ્રી ઉદય શંકર અવસ્થીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, ઇફકો તેમજ સહકારી ક્ષેત્રના વિવિધ અગ્રણીઓ, ખેડૂતો, મહિલાઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો---AHMEDABAD: ઘરઘાટી તરીકે ઘરમાં કામ કરી ચોરીને અંજામ આપતા કપલ સહિત ચાર ઝડપાયા
Advertisement
Tags :
Advertisement

.