રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોણ બનશે CM? ત્રણ રાજ્યોમાં ચૂંટણી જીતનારા 10 બીજેપી સાંસદોએ આપ્યા રાજીનામા
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા)એ શાનદાર પ્રદર્શન કરીને જીત હાંસલ કરી છે. ત્યારે હવે આ રાજ્યોના કુલ 10 સાંસદોએ રાજીનામું આપ્યું છે. લોકસભાના 9 અને રાજ્યસભાના 1 સાંસદે રાજીનામું આપ્યું છે. જણાવી દઈએ કે, આ વખતે બીજેપીએ વિધાનસભા ચૂંટણીમાં કેટલાક સાંસદોને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા.
રાજ્ય વિધાનસભા ચૂંટણી જીતનારા દરેક 10 બીજેપી સાંસદોએ સાંસદ સભ્યપદેથી રાજીનામું આપ્યું. જેપી નડ્ડા અને પીએમ મોદી સાથે બેઠક પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તમામ સાંસદોએ પોતાનું રાજીનાનું લોકસભા સ્પીકરને સોંપી દીધું છે. રાજસ્થાનમાં બીજેપીના નેતા કિરોડીલાલ મીણાએ રાજ્યસભાના સભ્ય પદથી રાજીનામું આપ્યું છે. જ્યારે દિયાકુમારી અને રાજ્યવર્ધનસિંહ રાઠોડે પણ રાજીનામું આપ્યું છે.
નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહ્લાદ સિંહ પટેલે આપ્યું રાજીનામું
મધ્યપ્રદેશની વાત કરીએ તો નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહ્લાદ સિંહ પટેલે પણ મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે.અત્યાર સુધી પ્રહ્લાદ સિંહ પટેલ જળશક્તિ રાજ્યમંત્રી અને નરેન્દ્ર સિંહ તોમર કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રીનો હવાલો સંભાળતા હતા. બંને પોતપોતાના રાજીનામા વડાપ્રધાનને મોકલશે. રાકેશ સિંહ, ઉદય પ્રતાપ અને રીતિ પાઠકે પણ રાજીનામું આપ્યું છે. છત્તીસગઢમાં અરૂણ સાવ અને ગોમતી સાઈએ સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. જણાવી દઈએ કે, આ પગલું મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીઓની પસંદગી માટે પાર્ટી નેતૃત્વની પ્રક્રિયાનો એક ભાગ છે.