યુનિવર્સલ બોસે કરી ભવિષ્યવાણી, આ 3 ટીમો ક્રિકેટનું લાવી શકે છે THE END
ભારતમાં ICC ODI World Cup 2023 શરૂ થઇ રહ્યો છે તે પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાના પણ ફાફા પડી ગયા છે. આ વખતનો વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે ત્યારે આ ભારત માટે એક એડવાન્ટેજ છે. પરંતુ બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓપનર ક્રિસ ગેલનું માનવું છે કે, ભારતના કારણે ક્રિકેટની રમત મરી રહી છે. ન માત્ર ભારત પણ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ ક્રિકેટની રમતને મારી રહી હોવાનું ક્રિસ ગેલનું કહેવું છે.
3 ટીમો ખતમ કરી દેશે ક્રિકેટ : ગેલ
યુનિવર્સ બોસનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ખીલવા માટે, વેસ્ટ ઈન્ડિઝ જેવા નાના બોર્ડના ખેલાડીઓને પણ રમવા માટે સારો પગાર મળવો જોઈએ. 43 વર્ષીય ખેલાડીએ એમ પણ કહ્યું હતું કે રમતમાં માત્ર ત્રણ ટીમોનું પ્રભુત્વ લાંબા ગાળે રમત માટે સારું નથી. ટેસ્ટ ક્રિકેટ કરતાં ખેલાડીઓ T20 ક્રિકેટને પસંદ કરે છે તે અંગે પૂછવામાં આવતા ક્રિસ ગેલે કહ્યું કે, 'છેલ્લા કેટલાક વર્ષોમાં બધું બદલાઈ ગયું છે. ક્રિકેટમાં હવે એટલો બધો પૈસો છે કે તે એક મોટો બિઝનેસ બની ગયો છે. દુઃખની વાત એ છે કે માત્ર મોટી બે-ત્રણ ટીમો (ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા)નો દબદબો છે જેના કારણે ક્રિકેટ ખતમ થઈ રહ્યું છે. તેણે કહ્યું, “નાની ટીમોને પણ સમાન પૈસા મળવાની જરૂર છે જેથી નવી પ્રતિભા સામે આવે. મહિલા ક્રિકેટને પણ સમાન પગારની જરૂર છે. તેઓને તેમના લાયક પૈસા નથી મળી રહ્યા. જ્યારે તેને વન-ડે ફોર્મેટના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'હવે કંઈ પણ અનુમાન કરી શકાય નહીં. આ વર્લ્ડ કપ પર ઘણું નિર્ભર રહેશે.
વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ નહીં હોય તો હું ખૂબ જ નિરાશ થઈશ : ગેલ
વર્લ્ડ કપ 2023માં કુલ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. તેમાંથી 8 ટીમો સીધી ક્વોલિફાય થઈ ગઈ છે, જ્યારે અન્ય બે ટીમો વર્લ્ડ કપ ક્વોલિફાયર રમીને અહીં પહોંચશે. ICC રેન્કિંગમાં ટોપ-8માંથી બહાર હોવાને કારણે વેસ્ટ ઈન્ડિઝને પણ ક્વોલિફાયર મેચો રમવાની છે અને ત્યાં પણ તેની હાલત ખરાબ છે. વિન્ડીઝની ટીમ સુપર-6માં સ્થાન મેળવવામાં સફળ રહી, પરંતુ ટૂર્નામેન્ટ દરમિયાન ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ સામેની હારના કારણે તેઓ લગભગ વિશ્વ કપની રેસમાંથી બહાર થઈ ગયા છે. આ મુદ્દે ગેલે કહ્યું, 'ટીમને આ હાલતમાં જોઈને ખૂબ જ દુઃખ થાય છે. તે તેમના માટે ખૂબ મુશ્કેલ હશે. જો ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ નહીં હોય તો હું ખૂબ જ નિરાશ થઈશ. આશા છે કે ભવિષ્યમાં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ માટે બધુ સારી થશે.
વિરાટ કોહલી પર આપ્યું મોટું નિવેદન
વિરાટ કોહલીને માનસિક અને શારીરિક રીતે ખૂબ જ મજબૂત ક્રિકેટર ગણાવતા વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલે કહ્યું કે તે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં પ્રભુત્વ જમાવશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી IPLમાં કોહલી સાથે રમી ચૂકેલા ગેલે કહ્યું કે IPL દ્વારા ખરાબ તબક્કાને અલવિદા કર્યા પછી, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વર્લ્ડ કપમાં પ્રભુત્વ જાળવી રાખશે. તેણે કહ્યું, 'માત્ર વિરાટ જ નહીં પરંતુ દરેક ખેલાડી ખરાબ તબક્કામાંથી પસાર થાય છે. મુશ્કેલ સમય લાંબો સમય ટકી શકતો નથી પરંતુ મજબૂત ખેલાડીઓ લાંબો સમય ટકે છે. વિરાટ માનસિક અને શારીરિક રીતે મજબૂત છે. તે આ જ લયને જાળવી રાખીને વર્લ્ડ કપમાં પ્રભુત્વ જાળવી રાખશે.
આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં પ્રદર્શનકારીને ખેલાડીએ ઉચો કરી મેદાનની બહાર કાઢ્યો, Video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ