Tripura : રથયાત્રા દરમિયાન હાઈટેન્શન લાઈનમાંથી ઉતર્યો કરંટ, 6 લોકોના દર્દનાક મોત, 15 ઈજાગ્રસ્ત
ત્રિપુરામાં રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. ત્રિપુરાના કુમારઘાટમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નિકાળવામાં આવી હતી. આ દરમિયાન રસ્તામાં રથ વીજળીની હાઈટેન્શન તારને અડી જતાં મોટી દુર્ઘટના સર્જઆઈ છે. આ ઘટનામાં કરંટ લાગવાના કારણે 6 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાના કારણે વિસ્તારમાં અફરા-તફરી સર્જાઈ છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા છે. દરમિયાન આ દર્દનાક ઘટના ઉનાકોટી જિલ્લાના કુમારઘાટમાં આજે સાંજે સાડા ચાર વાગે બની હતી. અહીં ભગવાન જગન્નાથના ‘ઊંધી રથયાત્રા’નો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ભગવાન બાલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ નિકાળવામાં આવી હતી.
લોખંડથી બનેલા વિશાળ રથને લોકો હાથોથી ખેંચી રહ્યા હતા
ત્રિપુરાના ઉનાકોટી જિલ્લાના કુમારઘાટમાં નિકળી રહેલો રથ લોખંથી બનેલો હતો. આ વિશાળ રથને ભક્તો હાથોથી ખેંચી રહ્યા હતા. આ દરમિયાન લોખંડનો રથ રસ્તામાં હાઈટેન્શન તાર સાથે અડી ગયો હતો. રથમાં કરંટ ઝડપી ફેલાઈ ગયો અને 2 દઝનથી વધુ લોકો કરંટની ઝપેટમાં આવી ગયા, જેમાં 6 લોકોના મોત નિપજ્યા અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
રથ પાસે જ મૃતદેહોમાં લાગી ગઈ આગ
આ ઘટનામાં કરંટ લાગતા જે લોકોના મોત નિપજ્યા છે, તેમના શરીરમાં આગ લાગી ગઈ હતી. લોકો બુમો પાડી રહ્યા હતા અને તેમની સામે મૃતદેહોમાં આગ લાગેલી હતી. આ ઘટના અંગે તુરંત પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. હાલ ઈજાગ્રસ્ત થયેલા 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
સીએમ માણિક સાહા કુમારઘાટ જઈ રહ્યા છે
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ ટ્વીટ કર્યું કે તેઓ અગરતલાથી ટ્રેનમાં કુમારઘાટ જઈ રહ્યા છે અને તે સ્થળનું નિરીક્ષણ કરશે જ્યાં આ દુઃખદ ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.
આપણ વાંચો -એક વર્ષમાં ભારતીયો આટલા કરોડનો દારૂ ગટગટાવી ગયા, આ રાજ્ય પીવામાં સૌથી આગળ