મહાગુજરાત ચળવળ જેની સાથે જોડાયેલો છે ગુજરાતની સ્થાપનાનો ઈતિહાસ
Gujarat Day 2023 : 1લી મે 1960ના દિવસે એટલે કે આજથી 63 વર્ષ પહેલા બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો બન્યા હતા અને ત્યારથી લઈ આજ દિન સુધી 1લી મેના દિવસે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના લોકો માટે 1લી મેનો દિવલ ખુબ મહત્વનો છે કારણ કે અલગ ગુજરાત રાજ્ય સરળતાથી નહોતું મળ્યું. અલગ ગુજરાત રાજ્ય માટે મહાગુજરાત ચળવળ ચાલી હતી અને તેમાં 24 યુવાનોએ પોતાના જીવની આહુતિ આપી હતી.
ગુજરાતનો પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ
પ્રાચીન કાળમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી. લોથલ અને રામપુર જેવા વિસ્તારોમાંથી હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે તો ગુજરાતનો થોડોક ઈતિહાસ મોર્યવંશમાં પણ જોવા મળે છે. મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકીવંશની સ્થાપના કરી. અહી ગુર્જર જાતિના લોકોનો મોટો વસવાટ હોવાથી આ વિસ્તાર ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો.
મહાગુજરાત ચળવળ
- 1937માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય સભામાં આઝાદીના લડવૈયા ક.મા.મુનશીએ 'મહાગુજરાત' વિચારને વહેતો મુક્યો હતો. વર્ષ 1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળ્યા બાદ ગુજરાતને પણ ભાષાવાર અલગ રાજ્યનો દરજ્જો આપવા માટેની પ્રબળ માંગ છેડાઈ હતી. મહાગુજરાત આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું હતું પણ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જોવા માંગતી હતી. વર્ષ 1956માં નાના પાયે આંદોલનની શરૂઆત થઈ હતી. ઈન્દુલાલ યાજ્ઞિક, ભાઈકાકા વગેરેએ આગેવાની લેવાની શરૂઆત કરી પછી આંદોલને મોટું સ્વરૂપ ધારણ કર્યું અને 'મહાગુજરાત આંદોલન' તરીકે પ્રસિદ્ધિ પામ્યું. 7 ઓગસ્ટ 1956ના દિવસે કોંગ્રેસ હાઉસ ખાતે ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ કોંગ્રેસી નેતાઓને રજૂઆત કરવા ગયા હતા ત્યારે રજુઆત કરવા આવેલા વિદ્યાર્થીઓ પર ગોળીબાર થયો જેમાં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા.
- આ ગોળીબારને કારણે લોકોમાં સરકાર સામે રોષ ભભૂક્યો એ પછી કોંગ્રેસના દિગ્ગજ નેતા મોરારજીભાઈ દેસાઈ અમદાવાદ આવ્યા તો લોકોએ સ્વયંભૂ કર્ફ્યુ પાળી તેનો વિરોધ કર્યો. ઈન્દુલાલ યાજ્ઞિાક સહિત સૌ કોઈ ચાર વિદ્યાર્થીઓની શહાદતથી વ્યથિત હતા. લોકોને શહાદત અને કોંગ્રેસની નેતાગીરીની નિષ્ફળતા યાદ રહે એટલા માટે ઈન્દુલાલે કોંગ્રેસ ભવનના ઓટલા ઉપર જ શહીદ સ્મારક બનાવાની જાહેરાત કરી.
- અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા જૂના કોંગ્રેસ ભવન બહાર આવેલો ઓટલો તોડી બીજા દિવસે 8મી ઓગસ્ટે હજારો માણસોની હાજરીમાં ઈન્દુલાલ યાજ્ઞિકે ત્યાં ખાંભી ગોઠવી. યુવાનો દ્વારા તેનું ચણતર કરી દેવાયું અને ફરી આંદોલન શરૂ કરાયું. આ સત્યાગ્રહને 'ખાંભી સત્યાગ્રહ' નામ આપવામાં આવ્યું. ખાંભી સત્યાગ્રહ 226 દિવસ સુધી ચાલ્યો જેણે મહાગુજરાત આંદોલનને મજબૂતી આપી.
- છેવટે સરકારને આંદોલનકારીઓ સામે ઝૂકવું પડયું. બે વર્ષ સુધીના સંઘર્ષ પછી 'રાજ્ય પુનર્રચના કાયદો-1956'ના આધારે ગુજરાતી ભાષા બોલતા લોકો માટે ગુજરાત રાજ્ય અને મરાઠી ભાષા બોલતા લોકો માટે મહારાષ્ટ્રની રચના કરી.
ગુજરાતની સ્થાપના
ગુજરાતની સ્થાપના મુક સેવક રવિશંકર મહારાજ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતમાં 17 જિલ્લાઓ અસ્તિત્વમાં હતા. સ્થાપના બાદ ગુજરાતના મુખ્યમંત્રી જીવરાજ મહેતા બન્યા હતા તો ગવર્નર મહેંદી નવાઝ જંગ બન્યા હતા. ભાષાના આધારે અલગ થનાર ભારતનું બીજું રાજ્ય ગુજરાત હતું . પહેલું રાજ્ય આંધ્ર પ્રદેશ હતું.
ગુજરાતનું ભુગોળ
ભોગૌલિક દ્રષ્ટિએ ગુજરાત ખુબ જ સમૃદ્ધ રાજ્ય છે. વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે . જયારે સૌથી નાનો જિલ્લો ડાંગ છે અને વસ્તીની દૃષ્ટીએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે. ગુજરાત દેશનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતું રાજ્ય બન્યું સાથે જ ગુજરાતને કચ્છ અને ખંભાત એમ બે અખાત પણ છે તો રાજ્યમાં 185 નદીઓ છે જેમાંથી સૌથી મોટી નદી નર્મદા છે. જેના પર ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર બંધ બન્યો છે તો તેનાથી થોડે દુર સ્ટેચ્યુ ઓફ યુનિટ પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યું છે. તો બીજી તરફ ગિરનાર પર્વતએ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે અને ગીર અભ્યારણ્યમાં એશિયાટિલ સિંહો ગુજરાતની અલગ ઓળખ છે. ગુજરાતનું રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત છે જેની રચના કવિ નર્મદ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીનું પ્રજાજોગ સંબોધન