અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ, 10 વર્ષ પછી આવ્યો ચુકાદો
જિયા ખાન આત્મહત્યા કેસ મામલે સુરજ પંચોલીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. જિયા 3 જૂન 2013ના રોજ મુંબઈમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો હતો.
સૂરજ પંચોલી માટે મોટી રાહત
જિયા ખાન આત્મહત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો છે. અભિનેતા પર જિયાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. જિયાની માતાએ તેની પુત્રીના મૃત્યુ માટે સૂરજને જવાબદાર ગણાવ્યો હતો. છેલ્લા 10 વર્ષથી અભિનેત્રીની આત્મહત્યાનું રહસ્ય આજદિન સુધી ઉકેલાયું નહતું. આ મામલે મુંબઈ પોલીસથી લઈને સીબીઆઈએ તપાસ કરી રહી હતી.
સુસાઇડ પહેલા જીયા ખાને લખ્યો હતો પત્ર
જિયા ખાને 3 જૂન 2013ના રોજ આત્મહત્યા કરી હતી. જિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જિયા ખાને આ પત્રમાં કહ્યું હતું કે તારી જિંદગી છોકરીઓ અને પાર્ટી હતી, પણ મારી જિંદગી ફક્ત તું જ હતો.
જીયા અને સૂરજની મુલાકાત સોશિયલ મડિયા મધ્યમથી થઈ હતી
જીયા ખાને માત્ર ત્રણ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તેના અભિનયની પ્રશંસા થઈ હતી. અંગત જીવનની વાત કરીએ તો જીયા ખાન અને સૂરજ પંચોલીની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. જેના કારણે બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી તે બન્ને પ્રેમમાં પડ્યા હતા. સૂરજ જીયા કરતા બે વર્ષ નાનો હતો પરંતુ તે તેના જીવનમાં ખુશીઓની જેમ આવ્યો હતો. જિયાએ તેની માતા રાબિયાને પણ સૂરજ વિશે વાત કરી હતી. જો કે, માતા તેમના સંબંધોથી ખૂબ ખુશ નહોતી.
18 વર્ષની વયે બોલિવૂડમાં પહેલુ ડેબ્યૂ
દરેક અભિનેત્રીની ઈચ્છા જીવનમાં ઓછામા ઓછા એક વાર સુપર સ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની હોય છે, પણ જીયા ખાનની કારકિર્દીનો આરંભ જ અમિતાભ બચ્ચનને ચમકાવતી નિઃશબ્દ ફિલ્મથી થયો. બાળપણમાં ઉર્મિલા માટોંડકરની ફિલ્મ ‘રંગીલા’ જોઈને જીયા ખાન ખૂબ પ્રભાવિત થઈ હતી. ત્યારબાદથી તેણે ફિલ્મોમાં આવવાનું મન બનાવી લીધું હતું.