Mumbai attack : કોઇએ હથિયાર વગર આતંકીને પકડ્યો..તો કોઇ જમ્યા વગર જ ડ્યુટી પર ભાગ્યા..!
26 નવેમ્બરે મુંબઈ આતંકવાદી હુમલાના 15 વર્ષ પૂર્ણ થયા છે. આતંકવાદીઓએ તાજ અને ટ્રાઇડેન્ટ હોટલ તેમજ છત્રપતિ શિવાજી ટર્મિનસ અને કામા હોસ્પિટલ સહિતના સ્થળો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. પરંતુ દેશના બહાદુર જવાનો અને પોલીસકર્મીઓએ બહાદુરીથી આતંકવાદીઓનો સામનો કર્યો અને અનેક નિર્દોષ લોકોના જીવ બચાવ્યા. જો કે આ હુમલામાં પાંચ બહાદુર જવાનોએ જીવ ગુમાવ્યો હતો. આજે અમે તમને તે શહીદોના સાહસની વાતો જણાવી રહ્યા છીએ.
હેમંત કરકરે
હેમંત મુંબઈ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે મુંબઈ એટીએસનો ચીફ હતા. તે રાત્રે ડિનર કરી રહ્યા હતા જ્યારે તેમને ક્રાઈમ બ્રાન્ચમાંથી શહેરમાં આતંકી હુમલા અંગે ફોન આવ્યો. તે ઘરની બહાર આવ્યા અને એસીપી અશોક કામટે, ઈન્સ્પેક્ટર વિજય સાલસ્કર સાથે ચાર્જ સંભાળ્યો. કામા હોસ્પિટલની બહાર થયેલા એન્કાઉન્ટરમાં આતંકી અજમલ કસાબ અને ઈસ્માઈલ ખાને તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને તે શહીદ થઈ ગયા. મરણોત્તર તેમને અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.
અશોક કામટે
અશોક મુંબઈ પોલીસમાં ACP તરીકે તૈનાત હતા. આતંકવાદી હુમલા સમયે તે એટીએસ ચીફ હેમંત કરકરેની ટીમના ભાગ હતા. કામા હોસ્પિટલની બહાર થયેલા એન્કાઉન્ટરમાં આતંકી ઈસ્માઈલ ખાને તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાંથી એક ગોળી તેમના માથામાં વાગી હતી. ઘાયલ હોવા છતાં, તેમણે પ્રતિકાર કર્યો હતો
વિજય સાલસ્કર
સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સાલસ્કરથી એક સમયે મુંબઈનું અંડરવર્લ્ડ પણ ધ્રુજતું હતું. તેમની ઓળખ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે હતી. જ્યારે મુંબઈમાં હુમલો થયો ત્યારે વિજય સાલસ્કર પણ એટીએસ ચીફ હેમંત કરકરેની ટીમનો એક ભાગ હતા. કામા હોસ્પિટલની બહાર એન્કાઉન્ટરમાં આતંકવાદીઓની ગોળીઓથી તેઓ શહીદ થયા હતા. મરણોત્તર તેમને અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.
તુકારામ ઓમ્બલે
મુંબઈ પોલીસના આ ASIની હિંમતની પ્રશંસા કરવા શબ્દો પણ ઓછા પડે . તુકારામે ન માત્ર આતંકવાદી અજમલ કસાબનો હથિયાર વિના સામનો કર્યો, પરંતુ અંતે તેને પકડવામાં પણ સફળતા મેળવી. આ દરમિયાન કસાબે તેમના પર ઘણી ગોળીઓ ચલાવી હતી જેના કારણે તે શહીદ થયા હતા. મરણોત્તર તેમને અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.
મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન
મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન આતંકવાદી હુમલા દરમિયાન મિશન ઓપરેશન બ્લેક ટોર્નેડોનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેઓ 51 એનએસએજીના કમાન્ડર હતા. જ્યારે મેજર તાજમહેલ પેલેસ અને ટાવર્સ હોટલની અંદર છુપાયેલા આતંકવાદીઓ સામે લડી રહ્યા હતા, ત્યારે એક આતંકવાદીએ તેમના પર પાછળથી હુમલો કર્યો, જેના કારણે તેઓ ઘટનાસ્થળે જ શહીદ થયા. તેમને 2009 માં મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પાંચ બહાદુર સૈનિકો અને પોલીસકર્મીઓ ઉપરાંત હવાલદાર ગજેન્દ્ર સિંહ, નાગપ્પા આર. મહાલે, કિશોર કે. શિંદે, સંજય ગોવિલકર, સુનિલ કુમાર યાદવ અને અન્ય ઘણા સૈનિકોએએ પણ બહાદુરીનું ઉદાહરણ સ્થાપિત કર્યું હતું.
આ પણ વાંચો----26/11 : આજે પણ મને મોકો મળે તો ફરી યુનિફોર્મ પહેરી આતંકીઓ સામે લડવા જઇશ