ભત્રીજાના બળવા પર શરદ પવારનું નિવેદન, કહ્યું, અમે હજુ પણ મજબૂત છીએ...
મહારાષ્ટ્રમાં ફરી એકવાર મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. NCPના દિગ્ગજ નેતા શરદ પવારને ભત્રીજા અજિત પવારે ઝાટકો આપ્યો છે. આજે તેઓ એનસીપીના 30 ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને શિંદે સરકારમાં સામેલ થયા. આ સાથે જ અજિત પવાર સહિત આઠ ધારાસભ્યોએ પણ શપથ લીધા હતા.
મહત્વનું છે કે, ભત્રીજા અજિત પવારના બળવા પર હવે એનસીપી પ્રેસિડન્ટ શરદ પવારનું નિવેદન આવ્યું છે. શરદ પવારે આ સમગ્ર મામલે કહ્યું હતું કે 'અમને જનતાનું સમર્થન છે. અમે બધું જ ફરીથી બનાવીશું. શરદ પવાર હાલ પુણેમાં છે અને તેમણે તેમના પૂર્વ નિર્ધારીત તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યાં છે અને ત્યાંથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.
વધુમાં શરદ પવારે કહ્યું કે, અમે હજુ પણ મજબૂત છીએ અને ફરી ઉભા થઈશું. જો કે, અજિત પવાર અને શરદ પવાર વચ્ચે અણબનાવના અહેવાલો પહેલાથી જ હતા. આ વર્ષે કર્ણાટક ચૂંટણીમાં જ્યારે NCPએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી ત્યારે તેમાં અજિત પવારનું નામ ગાયબ હતું. ત્યારે ચર્ચાઓનું બજાર ગરમ હતું કે NCPમાં કાકા-ભત્રીજા વચ્ચે કંઇક સારું નથી ચાલી રહ્યું.
શપથ લીધા બાદ બોલ્યા અજિત પવાર
એનસીપીના દિગ્ગજ નેતા અજિત પવાર 9 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની શિંદે સરકારમાં જોડાઈ ગયા છે અને આજે તેમણે ડેપ્યુટી સીએમ તરીકેના શપથ પણ લઈ લીધા. શપથ બાદ બોલતાં પવારે કહ્યું કે અમારી પાસે 40 ધારાસભ્યો છે. અજિત પવાર સાથે શિંદે સરકારમાં સામેલ થયેલા એનસીપીના બીજા દિગ્ગજ નેતા છગન ભૂજબળે પણ કહ્યું કે અમે કોઈ નવી પાર્ટી નથી બનાવી, એનસીપી તરીકે જ શિંદે સરકારને સમર્થન આપ્યું છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં 2019 નું પુનરાવર્તન! આખરે અજિત પવારને મળ્યો Dy.CM નો પાવર