Sushil Modi: રાજ્યસભાના સભ્ય અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીનું નિધન
Sushil Modi: ભારતીય જનતા પાર્ટીમાં આઘાતજનક સમાચાર સામે આવ્યાં છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુશીલ મોદીનું આજે સાંજે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં નિધન થયું છે. નોંધનીય છે કે, સુશીલ મોદી (Sushil Modi)નું 72 વર્ષે નિધન થયું છે. સુશીલ મોદી ઘણા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા અને છેલ્લા એક મહિનાથી AIIMSના એકમમાં દાખલ હતા. ઉલ્લેખનીય છે કે, તેમણે તેમની તબિયતના કારણે લોકસભાની ચૂંટણી ના લડવાનું પસંદ કર્યું હતું.
વિજય કુમાર સિન્હાએ ટ્વીટ કરતા દુઃખ વ્યક્ત કર્યુ
વિજય કુમાર સિન્હાએ ટ્વીટ કરતા લખ્યું કે, ‘ભારતીય જતના પાર્ટીના વરિષ્ઠ નેતા સુશીલ મોદીજી હવે આપણી વચ્ચે નથી રહ્યા. બીજેપી પરિવાર માટે તેમજ મારા જેવા કાર્યકર્તાઓ માટે એક અપૂર્વીય ખોટ છે. તેઓ તેમના સંગઠન કૌશલ્ય, વહીવટી સમજણ અને સામાજિક રાજકીય મુદ્દાઓ પરના તેમના ઊંડા જ્ઞાન માટે હંમેશા યાદ રહેશે. દિવંગત આત્માને શાશ્વત શાંતિ આપો અને દુઃખની આ ઘડીમાં પરિવારને શક્તિ આપો.’
સુશીલ કુમાર મોદીએ 1973માં વિદ્યાર્થી સંઘના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી
તમને જણાવી દઈએ કે, 5 જાન્યુઆરી, 1952ના રોજ જન્મેલા સુશીલ કુમાર મોદી (Sushil Kumar Modi) એ પટના યુનિવર્સિટીમાં વિદ્યાર્થી કાર્યકર તરીકે તેમની રાજકીય સફરની શરૂઆત કરી હતી, જ્યાં તેમણે 1973માં વિદ્યાર્થી સંઘના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. સુશીલ મોદી (Sushil Modi)એ તેમની ત્રણ દાયકા લાંબી રાજકીય કારકિર્દીમાં ધારાસભ્ય, એમએલસી અને લોકસભા અને રાજ્યસભાના સભ્ય સહિત વિવિધ હોદ્દા સંભાળ્યા હતા. તેમણે 2005 થી 2013 અને ફરીથી 2017 થી 2020 સુધી બિહારના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.