J&K માં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા, આતંકીઓ પાસેથી મળ્યા 2100 પાકિસ્તાની રૂપિયા
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. કુપવાડા પોલીસે શનિવારે કહ્યું કે ઘૂસણખોરી કરનારા બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિયંત્રણ રેખા નજીક કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ વિસ્તારમાં હજુ પણ સેનાનું ઓપરેશન ચાલુ છે.
ઘૂસણખોરી કરનારા બે આતંકવાદીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરવા માટે સેના અને પોલીસ સતત પ્રયાસો કરી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કુપવાડા પોલીસ દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે માછિલ સેક્ટરના કુમકડી વિસ્તારમાં સેના અને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં અત્યાર સુધી ઘૂસણખોરી કરનારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. હજુ ઓપરેશન ચાલુ છે. પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી અત્યાર સુધીમાં 2 AKS ગન, 4 AKMags, 90 રાઉન્ડ, 1 પાકિસ્તાની પિસ્તોલ, 1 પાઉચ અને પાકિસ્તાની ચલણમાં 2100 રૂપિયા મળી આવ્યા છે.
J&K | Based on intelligence input provided by Kupwara Police, in a joint operation carried out by the Army and Police in Kumkadi area of Machal sector, 2 infiltrating terrorists have been killed so far. The operation is still in progress: Kupwara Police pic.twitter.com/KanSk4dGT6
— ANI (@ANI) September 30, 2023
યુવા પેઢીને બનાવાય છે નિશાન
તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું હતું કે, પાકિસ્તાન અને તેની એજન્સીઓ રાજ્યમાં યુવા પેઢીને નિશાન બનાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં એકત્ર કરવાના ઉદ્દેશ્ય સાથે છેલ્લા બે વર્ષથી નાર્કો-આતંકવાદનો માર્ગ અપનાવી રહી છે. સિંહે કહ્યું કે, આતંકવાદ વિરોધી મોરચે જનતાનો સહકાર અને સમર્થન પ્રોત્સાહક છે અને "અમે જમ્મુ અને કાશ્મીરને આતંકવાદ મુક્ત બનાવવાની ખૂબ નજીક છીએ."
પાકિસ્તાન સમર્થિત તત્વોની યોજનાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા ગ્રીડ સક્રિય: DGP
જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે ગુરુવારે જણાવ્યું હતું કે સરહદ પર અને અંતરિયાળ વિસ્તારોમાં પાકિસ્તાન સમર્થિત રાષ્ટ્રવિરોધી તત્વોની નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા ગ્રીડ સતર્ક અને સક્રિય છે. સિંહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકો શાંતિ ઇચ્છે છે અને પાકિસ્તાનની ગુનાહિત મૂર્ખતાને ઓળખે છે જે યુવાનોને પોતાના લોકો વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ પણ વાંચો - 2 હજારની નોટો બેંકમાં જમા કરાવવાનો આજે અંતિમ દિવસ, ATMમાં મધરાત 12 વાગ્યા સુધી આ સુવિધા રહેશે ઉપલબ્ધ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે