RUSSIA TERRORIST ATTACK : આતંકવાદીઓને પુતિનની ખુલ્લી ચેતવણી, કહ્યું - કોઈને પણ બક્ષવામાં નહીં આવે
RUSSIA TERRORIST ATTACK : રશિયાના મોસ્કોમાં બે દિવસ પહેલા એક આતંકવાદી હુમલો થયો હતો. જેને લઈને અત્યારે રશિયન સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે અત્યારે આ સુરક્ષા એજન્સીઓએ 11 લોકોની ધરપકડ કરી છે. રશિયન મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ફાયરિંગ કરી લોકોનો જીવ લેવામાં 4 આતંકવાદીઓ સામેલ હતાં.
રશિયાએ 11 લોકોની ધરપકડ કરી લીધી
આરોપીઓની ધરપકડ કર્યા બાદ રશિયાએ દાવો કર્યો છે કે હુમલાખોરો બ્રાયનસ્ક વિસ્તારમાંથી કારમાં યુક્રેનની સરહદ તરફ ભાગી રહ્યા હતા. આ દરમિયાન રશિયન સુરક્ષા દળોએ તેને પકડી લીધો હતો. બે દિવસ પહેલા (22 માર્ચ) રશિયાની રાજધાનીમાં થયેલા આ આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 133થી વધુ લોકોના મોત થયા છે. તે જ સમયે, 100 થી વધુ લોકો ઘાયલ થયા છે.
આતંકવાદીઓને નહીં બક્ષવામાં આવેઃ રશિયાના રાષ્ટ્રપતિ
આતંકવાદી હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિએ લોકોનો કહ્યું હતું કે, કોઈ જણ કાળે આ આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે, ‘આ હુમલા પાછળ જે પણ હશે, હું સોગંધ ખાઉ છું કે તેમને બક્ષવામાં નહીં આવે’ રશિયન રાષ્ટ્રપતિએ પણ એક દિવસના શોકની જાહેરાત કરી હતી. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે ક્રોકસ સિટી હોલમાં થયેલા આતંકવાદી હુમલાનો ભોગ ઘણા નિર્દોષ લોકો બન્યા હતા. મને ખાતરી છે કે ક્રોકસ સિટી હોલમાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા લોકોના જીવ બચાવવા માટે ડોક્ટરો શક્ય તેટલો પ્રયત્ન કરશે.
સંયુક્ત આરબ અમીરાતે સંવેદના વ્યક્ત કરી
ઉલ્લેખનીય છે કે, હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, સંયુક્ત આરબ અમીરાતે શનિવારે (23 માર્ચ) બુર્જ ખલીફાને રશિયાના ધ્વજ જેવા રંગોથી શણગાર્યો હતો. આ દરમિયાન અમેરિકાએ પણ રશિયામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને એક નિવેદન જારી કરીને કહ્યું કે આ ભયાનક ઘટના બાદ અમેરિકા રશિયાના લોકો સાથે ઉભું છે.
આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી
મોસ્કોના ક્રોકસ સિટી મોલમાં 22 માર્ચે એક કોન્સર્ટ દરમિયાન આતંકવાદીઓએ અંધાધૂન ગોળીબાર અને બોમ્બથી હુમલો કર્યો હતો. મીડિયા દ્વારા મળતી જાણકારી પ્રમાણે અત્યાર સુધીમાં 133 લોકોના મોત થયા અને 100 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આતંકવાદીઓએ હુમલો કર્યા પછી આ મોલમાં આગ પણ લાગી ગઈ હતી. હુમલા બાદ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતીં. ઉલ્લેખનીય છે કે, આ હુમલાની આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે જવાબદારી લીધી છે. આઈએસે આ મામલે એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી છે.