Rajasthan: બાબા બાલકનાથે લોકસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું, સીએમ બનવાની અટકળોએ પકડ્યું જોર!
રાજસ્થાનમાં અલવર બેઠક પરથી સાંસદ બાબા બાલકનાથે લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. બાબા બાલકનાથે ગુરુવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને રાજીનામું સોંપ્યું છે. તાજેતરમાં રાજસ્થાનની યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં બાબા બાલકનાથ તિજારાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, હવે બાબા બાલકનાથના રાજીનામા બાદ તેમના સીએમ બનવાની અટકળોએ જોર પકડ્યું છે.
ગઈકાલે 10 સાંસદોએ રાજીનામા આપ્યા હતા
આ પહેલા આજે બાબા બાલકનાથે બીજેપી નેતા ઓમ માથુર સાથે પણ મુલાકાત કરી હતી. જ્યારે બીજી તરફ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ દિલ્હી પહોંચ્યા છે. આ વચ્ચે હવે રાજસ્થાનમાં સીએમ પદ માટે કોના નામ પર મહોર લાગશે તેની ચર્ચા વેગવંતી થઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ તેમના કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. આમાંથી ગણેશ સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તે સિવાય તમામ 10 સાંસદ વિધાનસભાની ચૂંટણી જીત્યા છે. ચૂંટણી જીત્યા બાદ આ સાંસદો સંસદ સભ્ય પદથી રાજીનામું આપી રહ્યા છે. જણાવી દઈએ કે, ગઈકાલે બુધવારે 10 સાંસદ અને મંત્રીઓએ સંસદ સભ્ય પદથી રાજીનામું આપ્યું હતું.
આ સાંસદોએ આપ્યું રાજીનામું
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે લોકસભાના 9 અને રાજ્યસભાના 1 સાંસદે રાજીનામું આપ્યું હતું. રાજસ્થાનમાં બીજેપીના નેતા કિરોડીલાલ મીણા, દિયાકુમારી અને રાજ્યવર્ધનસિંહ રાઠોડે રાજીનામું આપ્યું છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો નરેન્દ્ર સિંહ તોમર, પ્રહ્લાદ સિંહ પટેલ, રાકેશ સિંહ, ઉદય પ્રતાપ અને રીતિ પાઠકે પણ રાજીનામું આપ્યું છે. જ્યારે છત્તીસગઢમાં અરૂણ સાવ અને ગોમતી સાઈએ સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. ત્યારે હવે બાબા બાલકનાથે પણ સાંસદ પદ છોડ્યું છે. જો કે, રાજસ્થાનમાં સીએમ કોણ બનશે તે સવાલ હાલ પણ યથાવત છે. દિયા કુમારીએ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. જ્યારે આજે પૂર્વ સીએમ વસુંધરા રાજે જેપી નડ્ડા અને અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે.
આ પણ વાંચો- મમતા બેનર્જી પર ગિરિરાજ સિંહની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ મહુઆ મોઇત્રાનો પલટવાર, કહ્યું- તમે અમને જણાવશો કે..!