Poonch Attack : શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોની ભીડ ઉમટી, જુઓ video
જમ્મુ અને કાશ્મીરના પુંછમાં આતંકવાદીઓએ આર્મી ટ્રક પર હુમલો કર્યો હતો , જેમાં પાંચ ભારતીય જવાનો શહીદ થયા હતા. તમામ જવાનોના મૃતદેહને તેમના વતન લાવવામાં આવ્યા હતા અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી.
લાન્સ નાઈક દેબાશીશ બસવાલને અંતિમ વિદાય આપવામાં આવી
પુંછ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લાન્સ નાઈક દેબાશીશ બિસ્વાલના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પુરીમાં તેમના પૈતૃક ઘરે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. રસ્તાના બંને છેડે લોકોની ભારે ભીડ હતી. લોકોએ શહીદ જવાનના મૃતદેહ પર પુષ્પોની વર્ષા કરી હતી.
લાન્સ નાઈક કુલવંત સિંહને તેમના વતન ગામમાં અંતિમ વિદાય આપવામાં આવી
પુંછ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લાન્સ નાઈક કુલવંત સિંહના પાર્થિવ દેહને તેમના વતન ગામમાં લાવવામાં આવ્યો હતો. શહીદ જવાનને છેલ્લી વાર જોવા માટે લોકોની ભીડ જોવા મળી હતી. લોકોએ ભારત માતા કી જય અને કુલવંત સિંહની જયના નારા પણ લગાવ્યા હતા. જણાવી દઈએ કે, કુલવંત સિંહના પિતા કારગિલ યુદ્ધના હીરો હતા.
શહીદ મનદીપ સિંહને તેમના વતન લુધિયાણામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
પુંછમાં સેનાના વાહન પર થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા હવાલદાર મનદીપ સિંહના પાર્થિવ દેહને તેમના વતન લુધિયાણામાં લાવવામાં આવ્યો હતો. લોકોએ બહાદુર સૈનિકને વિદાય આપી. મનદીપ સિંહને અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન ભારત માતા કી જય અને મનદીપ સિંહ અમર રહેના નારા લાગ્યા હતા.
શહીદ જવાન સેવક સિંહના અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી હતી
પુંછ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર સિપાહી સેવક સિંહના મૃતદેહને ભટિંડાના તલવંડી સાબો સબ-ડિવિઝનમાં તેમના વતન ગામમાં લાવવામાં આવ્યો હતો. સૈનિકને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી.
હરકિશન સિંહને અંતિમ વિદાય આપવામાં આવી
પુંછ આતંકી હુમલામાં શહીદ થયેલા કોન્સ્ટેબલ હરકિશન સિંહના પાર્થિવ દેહને તેમના વતન ગામ ગુરદાસપુર લાવવામાં આવ્યો હતો. જ્યારે શહીદ જવાનનો પાર્થિવ દેહ તેના ગામ પહોંચ્યો ત્યારે તેના અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા.
પુંછમાં આતંકીઓએ સેનાની ટ્રક પર હુમલો કર્યો હતો, પાંચ જવાનો શહીદ થયા
ઉલ્લેખનીય છે કે, 20 એપ્રિલ, ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પુંછમાં આતંકવાદી હુમલા બાદ સેનાના એક વાહનમાં આગ લાગતાં પાંચ જવાનો શહીદ થયા હતા. સેનાએ એક નિવેદનમાં કહ્યું કે હુમલામાં શહીદ થયેલા સૈનિકો રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના હતા અને તેઓ આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી કામગીરી માટે તૈનાત હતા. ભારે વરસાદ અને ઓછી દૃશ્યતાનો લાભ લઈને, આતંકવાદીઓએ સવારે 3 વાગ્યે રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પુંછ વચ્ચે સેનાના એક વાહન પર ગોળીબાર કર્યો હતો.
આ પણ વાંચો : Poonch Attack : હવે આતંકીઓની ખેર નહીં, સેનાએ બનાવ્યો માસ્ટર પ્લાન